મુંબઈઃ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દિશા વાકાણીની વાપસીની ખબરથી ફેન્સનું એક્સાઈટમેન્ટ લેવલ બમણું થઈ ગયું છે. પણ દિશા શોમાં એન્ટ્રી કેવી રીતે કરશે, તેને લઈને લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર દિશા વાકાણી ટુંક સમયમાં જ શોનું શૂટિંગ શરૂ કરવાની છે. દિશાની એન્ટ્રી ખૂબ જ ગ્રાન્ડ થવાની છે. તે નવરાત્રીમાં શોમાં એન્ટ્રી લેશે. ગોકુલધામ સોસાયટી નવરાત્રીમાં ગરબા દરમિયાન દયાબહેનને ખૂબ જ મિસ કરી રહ્યા છે.


વેબસાઈટ સ્પોટબોયને સૂત્રો તરફથી મળેલી માહિતી પ્રમાણે, “દિશા વાકાણી ટૂંક સમયમાં જ શૂટિંગ શરૂ કરશે. તેની એન્ટ્રી ભવ્ય હશે. સીરિયલમાં નવરાત્રીનો ટ્રેક શરૂ થશે તેમાં સૌ કોઈ દયાભાભી અને તેમના ગરબાને યાદ કરશે. સૌથી વધારે યાદ દયાભાભીના પતિ જેઠાલાલ (દિલીપ જોષી)ને આવશે. ત્યારે દયાની યાદમાં જેઠાલાલ પ્રતિજ્ઞા લેશે કે જ્યાં સુધી દયા નહીં આવે અને તેની સાથે ગરબા ના રમે ત્યાં સુધી તે નવરાત્રીમાં ગરબા રમશે નહીં. ત્યારે ગોકુલધામ સોસાયટીના લોકો દયાને પરત લાવવાનો પ્રયાસ કરશે પરંતુ નિષ્ફળ જશે. સૌ કોઈ નિરાશ થઈને બેઠું હશે ત્યારે જ દયાની ગ્રાન્ડ એન્ટ્રી થશે. શોના મેકર્સ દયાની એન્ટ્રીને ખાસ બનાવવા માટે ખૂબ પ્રયાસ કરી રહ્યા છે.”

થોડા દિવસ પહેલા જ શોના પ્રોડ્યુસર આસિત કુમાર મોદીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, “અમે સકારાત્મક છીએ કે દિશા વાકાણી દયા તરીકે પાછી આવશે. તેને આવવામાં એક મહિનાનો સમય લાગી શકે છે. અમે તેને વારંવાર આવવા માટે કહેતા હતા પરંતુ તેની દીકરી નાની હોવાથી તે આવવા માટે તૈયાર નહોતી. પરંતુ હવે લાગે છે કે તે આવવા માટે રાજી થઈ ગઈ છે.”

જણાવી દઈએ કે, દયાબહેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણી સપ્ટેમ્બર 2017થી શોમાં દેખાઈ નથી. મેટરનિટી લીવ પર ગયા બાદ તે શોમાં વાપસ નથી આવી. દયાબહેનની વાપસી ફેન્સ માટે કોઈ ટ્રીટથી કમ નથી. ફેન્સ દયાબહેનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.