Tunisha Sharma Forensic Team Probe:  ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માના મોતની દરેક એંગલથી તપાસ ચાલી રહી છે. સોમવારે 26 ડિસેમ્બરે ફોરેન્સિક ટીમ આત્મહત્યાના સ્થળે પહોંચી હતી. ટીવી સિરિયલના સેટ પર ફોરેન્સિક ટીમના સભ્યોએ ઘટના સ્થળની તપાસ કરી હતી. અહીં ટીવી શોના સેટ પરથી 7 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા હતા. તુનિષા શર્માએ શનિવારે (24 ડિસેમ્બર)ના રોજ આ ટીવી શોના સેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.


તુનિષા શર્માના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેના મૃત્યુનું કારણ શ્વાસ રૂંધાવાને કારણે જણાવવામાં આવ્યું છે. અભિનેત્રીના અંતિમ સંસ્કાર આજે (27 ડિસેમ્બર) કરવામાં આવશે.


ડ્રેસ અને જ્વેલરી કલેક્ટ કરાઇ


પોલીસે એક્ટ્રેસ અને આરોપી શીઝાનના ફોન ફોરેન્સિક તપાસ માટે મોકલી દીધા હતા. તુનિષાના ડ્રેસ અને જ્વેલરી પણ ભેગી કરવામાં આવી છે. તુનિષાની આત્મહત્યા બાદ તેની માતાએ તેના કો-આર્ટિસ્ટ શીઝાન ખાન પર ગંભીર આરોપ લગાવ્યા છે. મૃતકની માતા વનિતાએ શીઝાન ખાન પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે. તેની ફરિયાદના આધારે જ શીઝાનની આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.


શીઝાન પર છેતરપિંડીનો આરોપ


માતા વનિતાએ 28 વર્ષીય શીઝાન ખાન પર તેની પુત્રી સાથે છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો હતો. માતાનો આરોપ છે કે બંને રિલેશનશિપમાં હતા પરંતુ અચાનક જ શીઝાને તેની દીકરીના સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. જેના કારણે તુનિષાએ આત્મહત્યા કરી લીધી. માતા વનિતા શર્માએ કહ્યું હતું કે, “શીઝાને તુનિષાને છેતરી છે.  તેણે પહેલા તેની સાથે સંબંધ બાંધ્યો તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું અને પછી તેની સાથે સંબંધ તોડી નાખ્યા. તે અન્ય કોઈ યુવતી સાથે સંબંધ ધરાવે છે. જ્યારે તે પહેલાથી જ તુનિષા સાથે સંબંધમાં હતો.


દરેક એંગલથી તપાસ ચાલુ છે


તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે. તુનિષાના મૃત્યુનું કારણ બોયફ્રેન્ડ શીઝાન સાથેનું તેનું બ્રેકઅપ હોવાનું કહેવાય છે. પોલીસ અભિનેત્રીની માતા વનિતા દ્વારા શીઝાન પર લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરી રહી છે. ધરપકડ બાદ આરોપી શીઝાનને 28 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.


Tunisha Sharma ની આત્મહત્યા બાદ ટીવી શો ‘અલી બાબા-દાસ્તાન એ કાબુલ ’ઠપ્પ 


Tunisha Sharma Show Ali Baba: Dastaan-E-Kabul Stopped: ટીવી અભિનેત્રી તુનીષા શર્માએ 24 ડિસેમ્બર 2022ના રોજ 'અલી બાબા દાસ્તાન એ કાબુલ'ના સેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. અભિનેત્રીના મૃત્યુ બાદ એક્ટર શીઝાન ખાન પોલીસ કસ્ટડીમાં છે. તે તુનિષા સાથે શોમાં લીડ રોલમાં હતો. તુનિષાના મૃત્યુ અને શીઝાન પોલીસ કસ્ટડીમાં હોવા બાદ શોના મેકર્સ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. શોનું શૂટિંગ રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 


તુનીષા શર્માના મૃત્યુ પછી જ 'અલી બાબા: દાસ્તાન-એ-કાબુલ' નું શૂટિંગ તરત જ બંધ કરી દેવામાં આવ્યું હતું. હવે પછી શો શરૂ થશે કે કેમ તે અંગે આશંકા છે. શોના કલાકારો અને ક્રૂ સભ્યોને આશા છે કે શૂટિંગ ગમે ત્યારે શરૂ થઈ શકે છે. શો સાથે સંકળાયેલી એક કલાકારે ETimes ને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે શોને પાછું કેવી રીતે લાવવો તે વિશે વિચારવામાં પ્રોડક્શન હાઉસ થોડો સમય લેશે. હવે શો ફરી શરૂ થાય છે કે નહીં તે તો સમય જ કહેશે