Monika Bhadoriya Claims Disha Vakani : ટીવીનો પોપ્યુલર શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા કેટલાક દિવસોથી તેની ટીઆરપીના બદલે અન્ય બાબતોને લઈને ચર્ચાના ચકડોલે ચડ્યો છે. સિરીયલમાં રોશન ભાભીનું પાત્ર ભજવી રહેલી ઉર્ફે જેનિફર મિસ્ત્રીએ શોના નિર્માતા અસિત મોદી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ બાવરીની ભૂમિકા ભજવનાર મોનિકા ભદૌરિયાએ પણ નિર્માતા પર આરોપોનો વણઝાર સર્જી દીધી હતી. ઘણું બધું બોલ્યા બાદ હવે તેણે દિશા વાકાણી વિશે પણ પોતાનું મૌન તોડ્યું છે. અભિનેત્રીએ દયાબેનના શોમાં પાછા ન આવવા પાછળનું કારણ જણાવ્યું છે અને દાવો કર્યો છે કે તે ક્યારેય કમબેક નહીં કરે.


જો તમને યાદ હોય તો, દયાબેન ઉર્ફે દિશા વાકાણીએ 2018 માં શોમાંથી બ્રેક લીધો હતો અને પ્રસૂતિ રજા પર ગઈ હતી. બાદમાં એવા અહેવાલો આવ્યા હતાં કે, તે ટૂંક સમયમાં શોમાં પરત ફરી શકે છે પરંતુ એવું બન્યું નહીં અને આજ કાલ કરતા 5 વર્ષ વીતી ગયા. નિર્માતાઓએ નવી દયાબેન માટે ઓડિશન પણ લીધા હતા પરંતુ પાછળથી તે પણ પડતી મૂકવામાં આવી હતી. હાલમાં જ જેનિફર મિસ્ત્રીએ એક ઈન્ટરવ્યુમાં પોતાના બાકી પૈસા વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, તેના બેંક ખાતામાં માત્ર 80 હજાર રૂપિયા જ બચ્યા છે. જ્યારે તેણે તેની માતાના ઘરે 7 મહિલાઓની સંભાળ રાખવાની છે.


મોનિકા ભદોરિયાએ કર્યો હતો દાવો


હવે મોનિકા ભદોરિયાએ અસિત મોદી પર ગેરવર્તનનો આરોપ લગાવ્યો છે. સાથે જ દાવો કર્યો કે દિશા વાકાણી આ શોમાં ક્યારેય પાછી નહીં ફરે. ન્યૂઝ 18ને આપેલા ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે, 'દિશા પાછી આવવા જ નથી માંગતી. આ શોમાં કોઈ જ પરત ફરવા માંગતું નથી. મને નથી લાગતું કે, આવું થશે. દિશા પાછી આવતી નથી. તે શોની લીડ હતી. તે ઘણા દિવસોથી ગુમ હતી. શું તમને નથી લાગતું કે, તેઓએ તેમને પાછા લાવવા માટે ખૂબ જ પ્રયત્ન કર્યો હશે? પણ તેમ છતાંયે તે પાછી આવવા નથી માંગતી.


દિશા વાકાણી સાથે ગેરવર્તણૂક કરવામાં આવી 


નિર્માતા પર આરોપ લગાવતા મોનિકા ભદોરિયાએ કહ્યું હતું કે, 'અસિત કુમાર મોદી દરેક સાથે સમાન વર્તન કરે છે. તેણે દિશા સાથે પણ ખરાબ વર્તન કર્યું હશે. પરંતુ તેણીએ તેને ક્યારેય ગંભીરતાથી લીધું નથી. તે વસ્તુઓ જતી કરતી હતી. તે કહેતી હતી 'છોડો કોઈ વાંધો નહીં', 'જવા દે'.