મુંબઈ: બોલિવૂડ એક્ટર વરુણ ધવન તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે જલ્દીજ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. બન્નેના લગ્નના અહેવાલ પર વરુણ ધવનના કાકા અને અભિનેતા અનિલ ધવને પુષ્ટી કરી છે.


વરુણ અને નતાશા 24 જાન્યુઆરીએ મહારાષ્ટ્રના અલીબાગમાં લગ્ન કરવા જઈ રહ્યાં છે. વરુણ ધવન અને નતાશાના લગ્નને લઈ અનિલ ધવને એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, હા આખરે 24 જાન્યુઆરીએ બન્ને લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યાં છે. હું, મારો સમગ્ર પરિવાર, મારા ભાઈ ડેવિડ ધવન અને તેમનો પરિવાર લગ્ન નક્કી થવા પર ખૂબજ ખુશ છે.



અનિલ ધવને કહ્યું કે, હું વરુણની પાછળ પડી ગયો હતો કે તે પોતાની ગર્લફ્રેન્ડ નતાશાને ઘરની વહુ બનાવીને લઈ આવે. હવે અમારી બધાની ઈચ્છા પૂરી થવા જઈ રહી છે. જેને લઈને હું ખૂબજ ઉત્સાહિત છું.
રિપોર્ટ અનુસાર ટૂરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે જાણતા અલીબાગમાં વરુણ ધવન અને નતાશા દલાલના લગ્નનો જશ્ન 22 જાન્યુઆરીએ શરુ થશે. 26 જાન્યુઆરીએ મુંબઈમાં રિસેપ્શન રાખવામાં આવ્યું છે.


અનિલ ધવને વધુમાં જણાવ્યું કે, કોરોના મહામારીના કારણે લગ્ન સાદગીથી થશે અને આ લગ્નમાં માત્ર પરિવારના લોકો અને ઈન્ડસ્ટ્રીના કેટલાક નજીકના લોકોજ સામેલ થશે.
ઉલ્લેખનીય છે કે, વરુણ ધવન અને ફેશન ડિઝાઈનર નતાશા દલાલ બાળપણના મિત્ર છે. ન્યૂયોર્કથી ફેશન ડિઝાઈનિંગનો કોર્સ કરીને મુંબઈમાં પોતાના લેબલની શરુઆત કરનારી નતાશાને વરુણ એ સમયથી ડેટ કરી રહ્યો છે જ્યારે તે એક્ટર પણ નહોતો.