મુંબઈ: કાશ્મીરી પંડિતોને કાશ્મીરમાંથી કાઢી મૂકીને વિસ્થાપિત કરવામાં આવ્યા હતા. આ વિષયને દર્શાવતી ફિલ્મ ‘શિકારા’ જોઈને ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી રડતાં હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. દેશના પૂર્વ ઉપપ્રધાનમંત્રી અડવાણીની પુત્રી પ્રતિભા સાથે ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પહોંચ્યા હતા.

કાશ્મીરી પંડિતોની પીડાને દર્શાવતી આ ફિલ્મ જોઈને અડવાણી પોતાના આંસુ રોકી શક્યા નહતાં. ડાયરેક્ટર વિધુ વિનોદ ચોપડાએ આ ભાવુક ક્ષણને ટ્વિટ પર શેર કરી છે, જેનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વિધુ વિનોદ ચોપડા ફિલ્મ્સ તરફથી કરવામાં આવેલા ટ્વિટમાં લખવામાં આવ્યું હતું કે, ‘શિકારા’ ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં એલ.કે.અડવાણી અમે તમારા આશીર્વાદ અને પ્રશંસા માટે આભારી છીએ. વીડિયોમાં લખવામાં આવ્યું છે કે, ‘શિકારા’ ફિલ્મ જોયા બાદ અડવાણી પોતાના આંસુ રોકી શક્યા નહતાં. વીડિયોમાં વિધુ વિનોદ ચોપડા અડવાણીને સાંત્વના આપતા જોવા મળ્યાં હતાં. આ ફિલ્મ 7 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે.

ફિલ્મ ‘શિકારા’ 1990માં કાશ્મીરી પંડિતોને ઘાટીમાં સ્થિત તેમના ઘરમાંથી નીકળી જવાની ફરજ પાડવામાં આવી તેની કહાની બતાવવામાં આવી છે. ખાસ વાત એ છે કે, આ ફિલ્મમાં 4000થી વધુ કાશ્મીરી પંડિત શરણાર્થીઓએ અભિનય કર્યો છે અને 1990ના વિસ્થાપનના દ્રશ્યને પુનર્જીવિત કરવાની કોશિશ કરી છે. એક નેતા તરીકે લાલ કૃષ્ણ અડવાણીએ કાશ્મીરી પંડિતોની આ પીડાને નજીકથી જોઈ અને સમજી છે.