નવી દિલ્હીઃ બોલિવૂડ સ્ટાર અજય દેવગને મંગળારે કહ્યું કે, હિંસા કોઈ સમસ્યાનું સમાધાન નતી અને જેએનયૂ પર થયેલ હુમલો ખૂબ જ દુઃખદ છે. એક્ટરે કહ્યું કે, રવિવારે યૂનિવર્સિટી કેમ્પસમાં જે કંઈપણ થયું તેના માટે કોણ જવાબદાર છે, તેના વિશે તેમને સ્પષ્ટ રીતે કોઈ જાણકારી નથી, કારણ કે અહેવાલો અનુસાર વિરોધાભાસી વાતો સામે આવી રહી છે.


જેએનયૂમાં થયેલ હુમલા પર પુછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં અજયે કહ્યું કે, ‘હું સવારે સમાચાર જોઈ રહ્યો હતો. આ ખૂબ જ વિરોધાભાસી છે. હજુ સુધી એ જાણવા નથી મળ્યું કે કોણે શું કર્યું છે. માટે જ્યાં સુધી એ સ્પષ્ટ ન થાય અને મને ખબર નથી ત્યારે તેના પર હું ટિપ્પણી કેવી રીતે કરું, જે કંઈપણ થયું તે અત્યંત દુઃખદ છે.’

તેમણે કહ્યું કે જે કોઇ પણ આ કરી રહ્યું છે તે ખોટું છે. હિંસા કોઇ પણ વાતનું સમાધાન નથી. તે ખાલી આપણા દેશને નુક્શાન પહોંચાડે છે. આની પાછળ શું એજન્ડા છે જો તમને ખબર હોય તો મને પણ મહેરબાની કરીને કહો કારણ કે સમાચારોમાં કંઇ સ્પષ્ટ બહાર નથી આવી રહ્યું.

તમને જણાવી દઇએ કે જેએનયૂમાં થોડા સમય પહેલા કેટલાક બુકાનીધારી લોકોએ કેમ્પસમાં આવી વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરી હતી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા. આ હિંસાના વિરોધ પ્રદર્શનમાં મંગળવારે દીપિકા પાદુકોણ પણ જોડાઇ હતી. અને તેમણે જેએનયૂની છાત્રસંઘ અધ્યક્ષ આઇશી ધોષની પણ મુલાકાત કરી હતી. દીપિકા પાદુકોણ અહીં લગભગ 10 મિનિટ માટે રોકાઇ હતી. જે પછી દીપિકાને ટ્રોલ કરવામાં આવી હતી.