મુંબઈઃ કપિલ શર્માના જાણીતા કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’ને લઈને શક્તિમાન અને મહાભારતમાં ભિષ્મપિતાનું પાત્ર ભજવીને ઘેર ઘેર લોકપ્રિય બનેલા અભિનેતા મુકેશ ખન્નાનો રોષ ભભુકી ઉઠ્યો છે. હાલમાં મહાભારત સીરિયલના કલાકારો આ શોમાં મહેમાન તરીકે હાજર રહ્યા હતાં. પરંતુ ભીષ્મ પિતામહનું પાત્ર કરનાર મુકેશ ખન્ના ગેરહાજર રહ્યાં હતાં.


શોમાં ગેરહાજર રહેતા સોશિયલ મીડિયા પર યુઝર્સે સવાલ ઉઠાવતા મુકેશ ખન્નાએ એક પછી એક ટ્વીટ કરીને જવાબ આપ્યા છે. મુકેશ ખન્નાનો કપિલ શર્મા શો પર રોષ ભભુકી ઉઠ્યો છે. તેમણે શો પર ગંભીર અને અશ્લિલતા ફેલાવાવનો આરોપ લગાવ્યા હતા. મુકેશ ખન્નાએ આ શોને વાહિયાત અને ઢંગધડા વગરનો ગણાવ્યો હતો. જોકે બાદમાં મુકેશ ખન્નાએ તમામ ટ્વીટ ડિલિટ કરી નાખ્યા હતા.



મુકેશ ખન્નાએ કહ્યું કે, મેં આ શોમાં જવાની જાતે જ ના પાડી દીધી હતી. ભલે આ શો દેશમાં લોકપ્રિય હોય પરંતુ મને આનાથી વધારે બકવાસ શો કોઈ નતી લાગતો. આ શો ઢંગધડા વગરનો છે. ડબલ મિનિંગથી ભરપૂર અને અશ્લીલતાવાળો હોય છે. આ શોમાં પુરુષો સ્ત્રીઓા કપડાં પહેરે છે. હલકી હરકતો કરી લોકોને હસાવે છે.

મુકેશ ખન્નાએ કહ્યું કે, શોમાં લોકો શા માટે મોટે-મોટેથી હસતા હોય છે, તે આજ સુધી હું સમજી શક્યો નથી. એક વ્યક્તિને સેન્ટરમાં સિંહાસન પર બેસાડીને રાખે છે. તેનું કામ હસવાનું છે. હસવું આવે કે ના આવે પણ હસવાનું છે. તેમને આના પૈસા મળે છે.



મુકેશ ખન્ના આગળ કહે છે કે, મેં તો માત્ર પ્રોમો જોયો હતો. આ પ્રોમોમાં અરૂણ ગોવિલ કે જે શ્રીરામજીની ઈમેજ લઈને ફરે છે, તે માત્ર સ્માઈલ આપે છે. જેને આખી દુનિયા રામ તરીકે જુએ છે, તેને તમે આવો બકવાસ સવાલ કેવી રીતે પૂછી શકો છો. મને ખ્યાલ નથી કે અરૂણે જવાબમાં શું આપ્યો હતો? હું હોત તો કપિલનું મોં બંધ કરાવી દેત. આથી જ હું નહોતો ગયો. આમ મુકેશ ખન્નાએ કપિલ શર્માના શોને ઠંગધડા વગરનો અને અશ્લિલ ગણાવીને બરાબરની ઝાટકણી કાઢી હતી.