મુંબઈ: બાળકોમાં બહુ જ ફેમસ થયેલ શો ‘શક્તિમાન’ની બીજી સિઝન વિશે અવાર-નવાર ચર્ચાઓ સાંભળવા મળી રહી છે. જોકે એવું કહેવામાં રહ્યું છે કે, ટૂંક સમયમાં જ બીજી સિઝન શરૂ થઈ રહી છે. તાજેતરમાં જ ‘શક્તિમાન’ની ભૂમિકા ભજવનારા મુકેશ ખન્નાએ આ શો અંગે ખુલીને વાત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, આટલી બધી સફળતા મળી હોવા છતાં આખરે આ સીરિયલ કેમ બંધ કરવી પડી? આ અંગે મુકેશ ખન્નાએ જણાવ્યું હતું કે, પહેલા શક્તિમાન શનિવારે સવારે અને મંગળવારે સાંજે પ્રસારિત થતી હતી. નોન પ્રાઈમ ટાઈમ છતાં સીરિયલ બહુ જોરદાર ચાલી રહી હતી. જેના માટે દૂરદર્શનને પ્રતિ એપિસોડ 3.80 લાખ રૂપિયા આપવા પડતા હતા. તે જમાનામાં સીરિયલ પ્રાયોજિત રહેતા હતાં અને એડ્સ દ્વારા અમારી કમાણી થતી હતી.

આવામાં શક્તિમાન આશરે 100-150 ચાલી. તેમણે આગળ કહ્યું હતું કે, સીરિયલની પોપ્યુલારિટી જોતાં દૂરદર્શન તરફથી અમને કહેવામાં આવ્યું હતું કે, સીરિયલને રવિવારે પણ પ્રસારિત કરવામાં આવે. રવિવારે બાળકોની રજા હોય છે આવામાં સીરિયલ માટે પણ સારું છે.

રવિવારે પ્રસારિત થવાને કારણે અમારે દૂરદર્શનને 7.80 લાખ આપવા પડતાં હતાં. રકમ વધવા પણ અમે સીરિયલ ચલાવી હતી. આના પછી આગામી વર્ષે શોના 104 એપિસોડ થયા તો મને 10.80 લાખ રૂપિયા આપવા માટે કહેવામાં આવ્યું હતું કારણ કે, એપિસોડ વધ્યા બાદ ફી દોઢ ગણી થઈ જાય છે. આના પર મેં કહ્યું કે, આ તો સફળતા ભોગવવાના પરિણામ છે.

3 લાખથી શરૂ થયેલી રકમ હવે 10 લાખ થઈ ગઈ હતી અને મને ખબર પડી કે, તેઓ આને 16 લાખ કરવાનું વિચારી રહ્યાં છે. મેં આનો વિરોધ પણ કર્યો હતો પરંતુ મારી વાત માનવામાં આવી નહતી. સીરિયલની પોપ્યુલારિટી વધવા છતાં અમને નુકસાન થઈ રહ્યું હતું.

મુકેશ ખન્ના અનુસાર તે સીરિયલ બંધ કરવા નહોતા માગતા પરંતુ આવું કરવું તેની મજબૂરી હતી. તેમણે સ્પષ્ટીકરણ કર્યું હતું કે, બાદમાં લોકો કહેતા હતા કે શક્તિમાનને કારણે બાળકો ઊંચી બિલ્ડીંગો પરથી કૂદી રહ્યાં હતાં પણ એવું નહોતું. મુકેશ ખન્નાએ શક્તિમાનની બીજી સીઝન વિશે કહ્યું કે, હું પણ તેના માટે રાહ જોઈ રહ્યો છું અને આશા છે કે આપણે જલ્દી મળીશું.