ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં મળ્યો દેશી બોમ્બ, ભક્તોમાં ફફડાટ
અંબાજી: ગુજરાતનાં સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી પરિસરમાંથી આજે એક પેપરમાં બાંધેલો દેશી બોમ્બ મળી આવ્યો છે. અંબાજી મંદિરના શક્તિ દ્ધારની જાળી પાસેથી આ બોમ્બ મળી આવ્યો હતો, જેના કારણે લોકોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલા સાથે બોમ્બ ડિસ્પોજલ સ્કોડ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને બોમ્બને ડિસ્પોલજલ કર્યો હતો. હાલ અંબાજી મંદિરમાં એસ.ઓ.જી ટીમ, અંબાજી પોલીસ સહીત મંદિરની સુરક્ષાનાં કર્મીઓ અને મંદિરનાં ગાર્ડ દ્વારા અંબાજી મંદિરનાં ખુણે ખૂણાંની અધ્યતન સાધનો દ્વારા તપાસ હાથ ધરાઈ રહી છે.
સૌરાષ્ટ્રમાં આતંકવાદીઓ ઝડપાયા બાદ જાણીતા મંદિરોમાં સુરક્ષા વધારાઈ છે. અને તે સમયે જ દેશી બોંબ મળતા પોલીસ પણ સતર્ક બની છે. બનાસકાંઠા એસ.પી. નિરજ બડગુજરે આ મામલે એબીપી અસ્મિતા સાથે ટેલિફોનિક વાતચીતમાં કહ્યું કે, આ બોંબ નિષ્ક્રિય કરેલો હતો. અને પેપરમાં બાંધેલો હતો. જો કે, બોંબ મળવાની ઘટનામાં કોઈએ ડરવાની જરૂર ન હોવાનું પણ તેમણે ટાંક્યું. સાથે જ હાલમાં મંદિરમાં શ્રદ્ધાળુઓના પ્રવેશ પર કોઈ રોક લગાવવામાં આવી ન હોવાનું પણ તેમણે કહ્યું હતું.
હાલ અંબાજી મંદિરમાં બોમ્બની ઘટના પછી ભક્તોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ મોટી જાનહાનિ ટળતા મંદિરમાં ભક્તોને પ્રવેશ અપાઈ રહ્યો છે. અને ભક્તોમાં અને મંદિરના સુરક્ષાકર્મીઓ સહિત અનેક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
ઘટનાની મળતી માહિતી પ્રમાણે, આજે અંબાજી મંદિરના શક્તિ દ્ધાર પાસે એક પેપરમાં બાંધેલો દેશી બોમ્બ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ કાફલો અને બોમ્બ ડિસ્પોજલ ટીમને બોલાવી લેવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચીને બોમ્બ ડિસ્પોજલ ટીમે બોમ્બને ડિસ્પોજ કર્યો હતો. ત્યારબાદ પોલીસે અન્ય જગ્યાએ બીજો બોમ્બ ન મળે તેના માટે સધન તપાસ આદરી હતી.