અમિત ચાવડા પ્રદેશ પ્રમુખ બનતાં કોંગ્રેસના ક્યા ટોચના નેતાએ ઉપપ્રમુખપદેથી રાજીનામું ધરી દીધું ? જાણો વિગત

મૌલિન વૈષ્ણવની કામગીરી સામે આક્ષેપો થયા હતા અને તેમણે ટિકિટોની વહેંચણીમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાની ચર્ચા પણ કોંગ્રેસમાં ચાલી હતી. ભરતસિંહની નજીક હોવાના કારણે વૈષ્ણવ સુપર પ્રેસિડેન્ટ તરીકે વર્તતા હતા તેવા આક્ષેપ પણ થયા હતા તેથી હાઈકમાન્ડે તેમને પણ રવાના કર્યા હોવાની ચર્ચા કોંગ્રેસમાં ચાલી રહી છે.
મૌલિન વૈષ્ણવ સેવાદળના પ્રમુખ છે અન ભરતસિંહ સોલંકીની નજીક મનાતા હતા. અમિત ચાવડા સોલંકીના પિતરાઈ ભાઈ છે અને ભરતસિંહની ભલામણથી જ તેમની નિમણૂક થઈ હોવા છતાં તેમણે રાજીનામું ધરી દીધું તેથી આશ્ચર્ય સર્જાયું છે. કોંગ્રેસમાં એક ચર્ચા એવી છે કે મૌલિન વૈષ્ણવને રાજીનામું આપવા કહેવાયું છે.
મૌલિન વૈષ્ણવે મોડી સાંજે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ પ્રમુખને પત્ર લખી રાજીનામું આપ્યું હતું. રાજીમાનામાં તેમણે લખ્યું છે કે, આપના દ્રારા નક્કી કરાયેલા નવા પ્રમુખને અભિનંદન પાઠવું છું. આ સાથે નવનિયુક્ત પ્રમુખ અમિત ચાવડાને પોતાની નવી ટીમ બનાવી કામ કરવાની મજા આવે એટલે હું ઉપપ્રમુખપદેથી રાજીનામું આપું છું.
અમદાવાદ: ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવે તેવી એક ઘટનામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખપદેથી ભરતસિંહ સોલંકીને વિદાય કરી દેવાયા અને ભરતસિંહ સોલંકીના સ્થાને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ યુવા નેતા અમિત ચાવડાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખપદે નિમ્યા છે.
અમિત ચાવડાની પસંદગી થતાં જ કોંગ્રેસના સિનિયર નેતા અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશના વાઇસ પ્રેસિડેન્ટ મૌલિન વૈષ્ણવ રિસાઇ ગયા. ચાવડાને પ્રમુખ બનાવવાની જાહેરાત થતાં જ તેમણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખપદેથી રાજીનામું ધરી દીધું છે અને રાહુલ ગાંધીને પત્ર લખીને તેની જાણ પણ કરી દીધી છે.
અમિત ચાવડા હાલમાં ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના દંડક તરીકે કામગીરી બજાવે છે. આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડા છેલ્લી ચાર ટર્મથી ધારાસભ્ય છે અને ભરતસિંહ સોલંકીના પિતરાઈ ભાઈ છે. ચાવડાની પસંદગીને કોંગ્રેસના મોટા ભાગના સીનિયર આગેવાનોએ આવકારી છે પણ એક અગ્રણીએ વાંધો લીધો છે.