પાટીદારોના પ્રશ્નોની ચર્ચા કરવા માટે વિધાનસભાનું ખાસ સત્ર બોલાવવા મુદ્દે ધાનાણીને સરકારે શું આપ્યો જવાબ ? જાણો વિગત
સંવૈઘાનિક અને સંસદીય બાબતોના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ લેખિતમાં જવાબ આપ્યો છે કે, વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીની માંગણી પ્રમાણે સત્ર બોલાવવાની જરૂર નથી કેમ કે બંધારણીય જોગવાઇ પ્રમાણે સપ્ટેમ્બર 18 પહેલા વિધાનસભાનું સત્ર મળશે અને તે વખતે વિપક્ષ પોતાના મુદ્દા ઉઠાવી શકે છે.
ગાંધીનગરઃ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પાટીદારોને લગતા મુદ્દાઓની ચર્ચા કરવા માટે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવા પત્ર લખ્યો હતો. રાજ્ય સરકારે પાટીદારોને લગતા પત્ર પર એક મહિના લગી ધ્યાન જ નહોતું આપ્યું ને હવે આ સત્રની માંગ ફગાવી દેતો જવાબ આપ્યો છે.
આ મુદ્દા પ્રજાને સ્પર્શતા હોવાથી પ્રજાના હિત માટે ચર્ચા કરવા વિધાનસભાનું ખાસ સત્ર બોલાવવા માંગ કરી હતી. જો કે પ્રધાનોએ જાહેરમાં નિવેદનો કરીને તે જ વખતે આ માંગ ફગાવી દીધી હતી પરંતુ તેનો સત્તાવાર લેખિત જવાબ આપવાની તસદી નહોતી લીધી. હવે છેક 27 જૂને સરકારે ધાનાણીને જવાબ આપ્યો છે.
આ સંજોગોમાં અત્યારે ખાસ સત્ર બોલાવવાની કોઇ જરુરિયાત દેખાતી નથી. જો કે મહત્વની વાત એ છે કે નરેન્દ્ર મોદી સીએમ બન્યા ત્યારબાદ વિધાનસભાનું ચોમાસુ સત્ર ફક્ત 2 દિવસ માટે મળે છે. ત્યારે વિપક્ષે ઉઠાવેલા મુદ્દાઓ પર 2 દિવસમાં ચર્ચા કઇ રીતે થશે ?
આ ઉપરાંત રાજ્ય સરકાર આ મુદ્દાઓ માટે વધુ દિવસોનું સત્ર બોલાવવા તૈયાર છે કે કેમ તેના પર કોઇ જવાબ આપવામાં આવ્યો નથી. સરકારનો આ જવાબ નેતા વિપક્ષને સરકારી જવાબ તરીકે અપાયો હોય તેવું લાગી રહ્યું છે. સરકારે લગભગ 1 મહિના બાદ જવાબ આપ્યો છે તે પણ સરકારની ઉદાસનીતા બતાવે છે.
વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ગત 1 લી જૂને મુખ્યમંત્રીને પત્ર લખી વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવા માંગ કરી હતી. પત્રમાં તેમણે પાટીદાર આંદોલનની માંગણીઓ, મોંઘવારી, ખેડૂતોના પ્રશ્નો, ટેકાના ભાવ, ફી નિયમન કાયદા સહિતના વિવિધ 13 મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો હતો.