આજે પાસ-સરકાર વચ્ચે બીજી મીટિંગ, મીટિંગ પૂર્વે જ હાર્દિકનો અલગ રાગ
હાર્દિક પટેલના નેજા હેઠળ નવ નિર્માણ સેના દ્વારા પાટીદાર આંદોલન દરમિયાન જે પોલીસ દમન, સમાજના લોકો વિરૂધ્ધ કેસ કરાયા તે અંગે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને મળીને માહિતી આપવા માટે પણ સમય માગવામાં આવ્યો છે. જેમાં રાજયમાં બંધારણીય સંકટ, દલિતો, આદિવાસીઓ અને લઘુમતીઓ પર ઉત્પીડન વિગેરેનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. રાજયમાં લોકતંત્ર ખતરામાં હોવાની અને બંધારણીય સત્તાઓ ભાંગી પડી હોવાનો પણ દાવો કરાયો.
પાસના અગ્રણી દિનેશ બાંભણિયા અને વરૂણ પટેલે જણાવ્યું છે કે ગુરુવારે સરકારને કેટલાક દસ્તાવેજો આપવામાં આવશે જેમાં પાટીદાર સમાજને બંધારણીય રીતે ઓબીસીમાં સમાવીને અનામત કેવી રીતે આપી શકાય તેની ચર્ચા કરવામાં આવશે. મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં ૫૦ ટકા કરતા વધુ અનામત અપાઇ છે તે અંગે પણ સરકારને માહિતી આપવામાં આવશે. દરમિયાન હાર્દિક પટેલે મીટિંગને લઇને જણાવ્યું છે કે, પાસના ૧૧ સભ્યોનું પ્રતિનિધિ મંડળ સચિવાલય ખાતે સરકારને પુરાવા આપશે પરંતુ બીજી તરફ પાટીદાર સમાજને તોડવાનો પ્રયાસ થઇ રહ્યો છે.
પાટીદાર અનામત આંદોલનનો ઉકેલ આવે તે માટે સરકારે 1 ડિસેમ્બરે મેરેથોન મીટિંગ કરી હતી જેમાં પાસની માગણીઓ ધ્યાને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડે. સીએમ નીતિન પટેલ વચ્ચે મીટિંગ યોજાઇ હતી. જેમાં અનામત આપવા સહિતના મુદ્દે ઉદાર વલણ અપનાવી વધુ મીટિંગ કરવા નક્કી કરાયું હતું. ખાસ કરીને અન્ય રાજયમાં ૪૯ ટકા કરતા વધુ અનામત કેવી રીતે આપવામાં આવી છે તે અંગે પાસને માહિતી આપવાનું કહેવામાં આવ્યું હતું.
ગાંધીનગરઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ-પાસ અને રાજ્ય સરકાર વચ્ચે આજે બીજી મીટિંગ યોજાવાની છે. પાટીદારોનો ઓબીસીમાં બંધારણીય સમાવેશ કેવી રીતે થઇ શકે અને અનામત કેવી રીતે આપી શકાય તે અંગે પાટીદાર અનામત આંદોલન સમિતિ-પાસ દ્વારા રાજય સરકારને આજે માહિતી સાથે પુરાવાઓ આપશે. અન્ય રાજયમાં પચાસ ટકા કરતા વધુ અનામત હોવાની જાણકારી પણ સવારે 11 વાગે સરકાર સાથે સચિવાલય સ્વર્ણિમ સંકુલમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની મીટિંગમાં અપાશે. બીજી તરફ પાસના કન્વીનર હાર્દિકે જણાવ્યું છે કે, સરકાર પાટીદાર સમાજને તોડવાનો અને આંદોલનને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે.