ગૃહમાંથી વિપક્ષ સસ્પેન્ડઃ વિપક્ષે સ્પીકર સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી
ગાંધીનગરઃ વિધાનસભા ગૃહમાંથી આજે સ્પીકર દ્વારા વિપક્ષને સસ્પેન્ડ કરાતાં વિપક્ષે અધ્યક્ષ સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી દીધી છે. પરેશ ધાનાણી સહિતના વિપક્ષી ધારાસભ્યોએ અધ્યક્ષ વિરુદ્ધ પક્ષપાતી વલણ અને કામગીરી કરવાને લઇને અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી દીધી છે.
આ સિવાય વિપક્ષે 'જતન કરો ભાઈ જતન કરો લોકશાહીનું જતન કરો', 'ખેડૂત વિરોધી યે સરકાર નહિ ચલેગી નહિં ચલેગી', 'ગુજરાત વિરોધી,દલિત વિરોધી,આદિવાસી વિરોધી, ઓબીસી વિરોધી,પાટીદાર વિરોધી' જેવા નારાઓ લગાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, વિધાનસભામાં બજેટ સત્રની પ્રશ્નોત્તરીકાળ દરમિયાન વિપક્ષે ખેડૂતો, દલિત, આદિવાસી, ઓબીસી સહિતના મુદ્દાને લઇને વિધાનસભામાં હંગામો કર્યો હતો, જેને લઇને વિધાનસભા અધ્યક્ષે વિપક્ષના સભ્યોને સસ્પેન્ડ કરી દીધા હતા. આ ઘટનાને લઇને વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ આકરુ વલણ અપનાવતા કહ્યું હતું કે, અમે અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવીશું.
અધ્યક્ષે સાર્જન્ટને વિપક્ષને ઉંચકીને બહાર લઈ જવા સુચના આપતા ગૃહ સુત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યું હતું. વિધાનસભા અધ્યક્ષના વલણને પગલે કોંગ્રેસે અધ્યક્ષની ઓફિસ બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા.જેમાં 'ખૂન થયું ભાઈ ખૂન થયું,લોકશાહીનું ખૂન થયું' નારાથી માહોલમાં ગરમાવો આવી ગયો હતો.
વિધાનસભા ગૃહમાં ચાલી રહેલા બજેટ સત્રમાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન આજે વિપક્ષને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. કોગ્રેસના સભ્યો વેલ સુધી ધસી આવતા સાંજ સુંધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિપક્ષને પેટ્રોલ ડિઝલ પરના સેસના વિવાદને પગલે બરતરફ કરવા આવ્યો છે.