અનેક વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપતા ભાજપમાં ક્યાં ક્યા થયો ભડકો, કાર્યકરોએ કમલમ આગળ કર્યો વિરોધ
ગાંધીનગરઃ આગામી વિધાનસભા ચૂંટણીને લઇને ભારતીય જનતા પાર્ટીએ 106 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ભાજપે અનેક વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપતા તેમના સમર્થકોમાં નારાજગી જોવા મળી હતી અને તેઓ ગાંધીનગરમાં કમલમ બહાર વિરોધ પ્રદર્શન માટે એકઠા થયા હતા. તો અનેક ધારાસભ્યોને રિપિટ કરાતા ભાજપના કાર્યકરો નારાજ થયા હતા.
નર્મદાની નાંદોદ બેઠક પરથી શબ્દશરણ તડવીને ટિકિટ આપવાનો વિરોધ કરવામાં આવ્યો હતો. કચ્છના ગાંધીધામથી ધારાસભ્ય રમેશ મહેશ્વરીની જગ્યાએ તેમના ભાણેજ માલતીબહેનને ટિકિટ આપવામાં આવતા નારાજગી જોવા મળી. રમેશ મહેશ્વરીની ટિકિટ કપાતા 26 નગરપાલિકાના કાઉંસિલરે રાજીનામા આપ્યા છે. સાથે તાલુકા પંચાયતના 12 સભ્ય, એક તાલુકા પ્રમુખ, ગાંધીધામ અનુસૂચિત જાતિ મોરચા જિલ્લા પંચાયતના 2 સભ્યો અને ગાંધીધામ શહેર મહામંત્રીએ રાજીનામું આપ્યું છે. નિકોલ બેઠક પરથી ભાજપના ઉમેદવાર જગદીશ પંચાલનો કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો.
ગાંધીધામના વર્તમાન ધારાસભ્ય રમેશ મહેશ્વરીની ટિકિટ કપાતા સ્થાનિક કાર્યકરોમાં રોષના પગલે ભાજપનું કાર્યાલય બંધ રાખવાની ફરજ પડી. રોષે ભરાયેલા નારાજ કાર્યકરો અને સમર્થકોના જિલ્લા ભાજપ કાર્યાલય પર વિરોધના પગલે જિલ્લા ભાજપ પ્રમુખ કાર્યાલય છોડી ચાલ્યા ગયા. જે બાદ પણ વિરોધ અને ઉગ્ર નારેબાજી શરૂ કરતા કાર્યાલય બંધ રાખવાની ફરજ પડી
અમદાવાની નિકોલ, નર્મદાની નાંદોદ, ખેરાલુ અને આંકલાવના ભાજપના ઉમેદવારોનો વિરોધ જોવા મળી રહ્યો છે. ભાજપના ઉમેદવાર જગદીશ પંચાલ, શબ્દશરણ તડવી, હંસા કુંવરબા અને ભરતસિંહ ડાભીને બદલવાની માંગ સાથે કાર્યકરો ગાંધીનગરમાં ભાજપની ઓફિસ પહોંચ્યા હતા. તેમણે ધરણાં અને સૂત્રોચ્ચાર પણ કર્યા.