PM નરેન્દ્ર મોદી માતા હિરાબાની મુલાકાત લઈ ખબર અંતર પૂછે તેવી શક્યતા, જાણો વિગત
ગુરુવારથી જ બંગલાની આસપાસ સાફ સફાઈ કરવામાં આવી હોવાની તસવીરો સામે આવી છે. જેનાથી એવો અંદાજ લગાવી શકાય કે મોદી ગમે તે ઘડીએ અહીં આવી પહોંચશે અને માતા હિરાબાને મળવા પહોંચશે.
વૃંદાવન બંગલોની આસપાસ અને રોડ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદીના ભાઈ રહે છે ત્યાં વૃંદાવન બંગલો આસપાસ સફાઈ કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદીના માતા હીરાબા તેમના મોદીના ભાઈ સાથે અહીં રહે છે.
નરેન્દ્ર મોદીના માતા પણ ગાંધીનગરમાં જ રહે છે. સામાન્ય રીતે એવું બનતું હોય છે કે નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાત સમયે તેમના માતાના મળીને તેમના ખબર અંતર પૂછતા હોય છે. ગુરુવારે રાત્રે તેઓ માતાને મળી શક્યાં ન હતાં એટલે શક્ય છે કે શુક્રવારે અથવા શનિવારે સવારે તેઓ માતા હીરાબાને મળવા પહોંચશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મી જાન્યુઆરીના રોજ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે પધાર્યાં છે. ગુરુવારે નરેન્દ્ર મોદીએ ગાંધીનગર ખાતે ટ્રેડ શોનું ઉદ્ઘાટન કર્યું હતું ત્યાર બાદ અમદાવાદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલનું લોકાર્પણ તેમજ શોપિંગ ફેસ્ટિવલને ખુલ્લો મૂક્યો હતો. નરેન્દ્ર મોદીએ રાત્રિ રોકાણ ગાંધીનગર ખાતે રાજભવનમાં કર્યું હતું.