હૈદરાબાદના પટેલ પરિવારને વીરપુર દર્શને જતાં નડ્યો અકસ્માત, ત્રણનાં મોત
સુરેન્દ્રનગર: હૈદરબાદનો પટેલ પરિવાર અમદાવાદથી કાર લઇને બુધવારે વીરપુર જલારામ બાપાના મંદિરે દર્શન કરવા જતો હતો ત્યારે લીંબડી હાઇવે કાનપરાના પાટીયા પાસે કાર પલટી ખાતા બે મહિલાઓ સહિત ત્રણ દર્શનાર્થીઓના ઘટના સ્થળે મોત થયા હતાં.જ્યારે ત્રણ ઇજાગ્રસ્તોને સારવાર માટે અમદાવાદ લઇ જવાયા હતાં. જે જગ્યાએ અકસ્માત થયો ત્યાં અવાર-નવાર આ પ્રકારના બનાવ બનતા હોય છે.
લીંબડી તાલુકાના પાણશીણા પોલીસ સ્ટેશનેથી મળેલી માહિતી મુજબ હૈદરાબાદનો પટેલ પરિવાર અમદાવાદથી ઇનોવા કાર ભાડે કરીને સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ જલારામબાપા મંદિરે દર્શન કરવા જતો હતો. પરિવાર જ્યારે લીંબડી નેશનલ હાઇવે પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે કાનપરાના પાટીયા પાસે ધડાકા સાથે કારનું પાછળનું ટાયર ફાટતા ગમખ્વાર ઘટના સર્જાઇ હતી. જેમાં બે મહિલા સહિત કુલ 3 લોકોના મોત થયા હતા.
હાઇવે રોડ પરથી આ કારે એટલી જોરદાર પલટી ખાધી કે અંદર રહેલા દર્શનાર્થીઓમાં ચિચિયારીઓ ગૂંજી ઉઠી હતી. મૃતકોમાં લલીતભાઇ પટેલ (38), કિર્તીબેન પટેલ (28), દિપાલીબેન પટેલ (37)નો સમાવેશ થાય છે.
જ્યારે મીનાબેન લલીતભાઈ પટેલ, કિરણભાઈ શાંતિલાલ, રાજશેખર રાઘવેન્દ્રભાઈ પટેલને ઇજાઓ થતા લીંબડી સિવિલ હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતાં. જ્યાંથી ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવામાં આવ્યા હતાં