ભાજપના રાષ્ટ્રીય મહિલા સંમેલનમાં ભાજપનાં ટોચનાં પાટીદાર મહિલાને જ નિમંત્રણ નહીં, જાણો શું છે કારણ?
અમદાવાદઃ આજથી ભાજપના રાષ્ટ્રીય મહિલા સંમેલનની શરૂઆત અડાલજ ખાતે થઈ છે. જોકે આ મહિલા સંમેલનમાં ભાજપના નેતા રેશ્મા પટેલને આમંત્રણ આપવામાં આવ્યું નથી. તાજેતરમાં પાટીદાર સમાજની માંગણીઓને અમલમાં મુકવાને લઈ ભાજપના નેતા રેશ્મા પટેલ પક્ષ સામે જ બળવો કરી રહ્યા છે. જેને પગલે ભાજપ હવે તેમની અવગણના કરી રહ્યો છે. જો કે રેશ્મા પટેલનું કહેવું છે કે, ટોચના નેતાઓની ત્રુટીઓના કારણે ભાજપમાં યોગ્ય ન્યાય મળતો નથી.
મહિલા સંમેલનમાં આમંત્રણ ન મળવા અંગે રેશ્માએ સ્પષ્ટતા કરી કે, એવું લાગે છે કે મારાથી ભાજપને કોઈ તકલીફ છે. મહિલા સશક્તિકરણની વાતો કરનારા ભાજપને ચૂંટણી સમયે જ કેમ મહિલાઓ યાદ આવે છે? મને આમંત્રણ નહીં મળવા અંગે હું કોઈ રજૂઆત કરીશ નહીં.
રેશ્માએ આગળ કહ્યું કે, આજે મારી જે પણ ઓળખ છે એ સમાજે મને આપેલી છે. ભાજપ થકી કંઈ જ નથી માટે ભાજપ મને બહારનો રસ્તો દેખાડે તો પણ મને કોઈ ફેર પડતો નથી. હું સમાજ અને પ્રજાના કાર્યો માટે આ જ રીતે લડતી રહીશ, કારણ કે હું પ્રજા માટે રાજનીતિમાં આવેલી છું.