વિજય રૂપાણીએ કાઠિયાવાડી લહેકા સાથે સ્કુલ સંચાલકોને કરી ટકોર, ફીને લઈને CMએ શું કરી ટકોર, જાણો વિગત
ફી નો કાયદો વાલીઓ સામેના કાયદો નથી, શાળાના સંચાલકો સામેનો કાયદો છે. આથી વાલીઓએ કોઈ લેભાગુ તત્વોની વાત માનવાની જરૂર નથી. અમદાવાદ શહેર અને ગ્રામ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના અભિવાદન સમારોહમાં મુખ્યમંત્રી-શિક્ષણ મંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું.
ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા ફી નિયમન અધિનિયમનો અમલ કરવામાં આવતા રૂપાણી સરકારની કામગીરીને બિરદાવવા માટે અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલા હોલમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજ્ય શિક્ષણ મંત્રી વિભાવરી દવેને સન્માન સમારંભ કાર્યક્રમ રાખવામાં આવ્યા હતો.
વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે વાલી મંડળના નામે બધાં વાલીઓ આવી રહ્યા છે, પણ ફીનો કાયદો પસાર કરતી વખતે તો કોઈ વાલી અમને કહેવા આવ્યું ન હતું, સરકારે જ વાલીની ભૂમિકા ભજવી છે.
મુખ્યમંત્રી રૂપાણીએ અલગ પ્રકારે જ સંચાલકો અને શિક્ષકોની ભૂમિકાને ગૂઢાર્થમાં સમજાવતા હોય તેવી રીતે જણાવ્યું હતું કે, ધોરણ 1માં બાળકને સાચવવાનું, સંભાળવાનું વધારે હોય છે, છતાં વાલીઓ લાખ રૂપિયા ફી આપે છે અને લેવાય પણ છે. આવું ન હોય, વાજબી કારણો હોય અને તેની વાજબી ફી હોય, આવું ચલાવી લેવાશે નહીં.
આ કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમની હળવી શૈલીમાં સંચાલકો પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, પહેલા ધોરણના બાળકના શેડા લૂછવાના એક લાખ રૂપિયા ન હોય. આ વાત કરતાં જ લોકો હસી પડ્યા હતાં.