મહેસાણાઃ સ્વ. કેતન પટેલના બીજી વારના પોસ્ટ મોર્ટમમાં થયો મોટો ચોંકાવનારો ખુલાસો, જાણો વિગત
બીજી બાજુ મૃતક કેતનના પિતા મહેન્દ્રભાઈ પટેલ, વિજાપુરના કોંગ્રેસના ધારાસભ્ય પી. આઈ. પટેલ અને અન્ય અગ્રણી કિરીટ પટેલે કેતનના મોતમાં ન્યાય માટે શુક્રવારથી આમરણાંત ઉપવાસ આરંભ્યા છે. શનિવારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને ગુજરાતના પ્રભારી અશોક ગેહલોતે મુલાકાત લીધી હતી.
મહેસાણાઃ મહેસાણાના બલોલ ગામના કેતન પટેલની ચોરીના ગુનામાં ધરપકડ બાદ કસ્ટોડિયલ ડેથનો મામલો ગરમ છે ત્યારે સ્વ. કેતન પટેલના બીજી વારના પોસ્ટ મોર્ટમમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. પાટીદારોના ભારે આક્રોશ બાદ શુક્રવારે કરાયેલા પુન: પોસ્ટમોર્ટમનો અહેવાલ શનિવારે તૈયાર કરવામાં આવ્યો હતો.
આ રિપોર્ટમાં કેતનના શરીરે કુલ 54 જેટલી ગંભીર ઇજાઓ થઈ હોવાનું બહાર આવ્યું છે. અગાઉ કરાયેલા પોસ્ટમોર્ટમમાં 39 ઇજાઓ થઈ હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ ઈજાઓ સામે પાસના આગેવાનોએ વાંધા ઉઠાવી ઈજાઓ છૂપાવી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ આક્ષેપ બીજા પોસ્ટ મોર્ટમમાં સાચો પડ્યો છે.
આ રીપોર્ટના કારણે હવે સરકારે જવાબદાર પોલીસો સામે પગલાં લેવાં જ પડશે. સોમવારે પુન: કરાયેલા પોસ્ટ મોર્ટમની સીડી જોઈને ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરાશે. ગુજરાતની ભાજપ સરકારે સ્વ. કેતન પટેલના અપમૃત્યુના કેસમાં જવાબદારો સામે પગલાં લેવાની ખાતરી આપી છે.
પાટીદાર અગ્રણી બાબુભાઈ માંગુકીયા અને પાસના આગેવાનોને પણ બોલાવાયા હતા. તેમની હાજરીમાં સ્વ. કેતન પટેલના પિતા મહેન્દ્રભાઈને બોલાવી પુન: પીએમનો રિપોર્ટ સોંપાયો હતો. આ બીજી વખતના પોસ્ટ મોર્ટમમાં કેતનનું મોત મારથી થયું છે અને તેના શરીરે 54 જેટલા ગંભીર ઈજાના નિશાનો પણ દર્શાવાયા છે.
સ્વ. કેતન પટેલના મૃતદેહનું શુક્રવારે નિર્ધારિત બે તબીબોની પેનલ દ્વારા પુન: પોસ્ટ મોર્ટમ કરાયું હતું. સાડા ત્રણ કલાક ચાલેલા પોસ્ટ મોર્ટમનો રિપોર્ટ બંધ કવરમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને સોંપાયો હતો. શનિવારે સાંજે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે સ્વ. કેતન પટેલના પરિવારને બીજી નારના પોસ્ટ મોર્ટમનો રીપોર્ટ સોંપ્યો હતો.