ગુજરાતમાં ‘ઓખી’ વાવાઝોડાની આફત ટળી, દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે વરસાદ પડે તેવી સંભાવના, જાણો વિગતે

હવે વાવાઝોડું દરિયામાં સમાઈ જતાં ડીપ ડીપ્રેશનને કારણે દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ પડી શકે તેવી શક્યતા છે. જોકે હવે ભયજનક સ્થિતિ ટળી ગઈ છે, તેમ હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.
‘ઓખી’ વાવાઝોડું ઝડપથી વિખેરાઈ રહ્યું છે, તેની તીવ્રતા ઝડપથી ઘટી રહી છે, તેની આગળ વધવાની હલનચલન પણ ઘણી ઓછી થઈ રહી છે તેવી મોડી સાંજથી અસર વર્તાવી શરૂ થઈ ગઈ હતી.
‘ઓખી’ વાવાઝોડું સુરત પહોંચે એ પહેલાં દરિયામાં વિખેરાઈ જવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. ‘ઓખી’ દરિયામાં જ સમાઈ જતાં હવે બુધવારથી બધું જ નોર્મલ થઈ જવાની શક્યતાઓ દર્શાવાઈ રહી છે.
‘ઓખી’ વાવાઝોડું નબળું પડતાં ભાવનગરમાં કલાકના 28 કિમીની ઝડપે પવન ફૂંકાવો શરૂ થયો હતો. સુરતમાં 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો. જોકે હવે ગુજરાતના સદનસીબે આફત ટળી ગઈ છે. વાવાઝોડું સુરતમાં ત્રાટકે તે પહેલાં જ અરબી સમુદ્રમાં સમાઈ ગયું છે. જેને પગલે વહીવટેતંત્રે રાહતનો શ્વાસ લીધો હતો.
વાવાઝોડું ડીપ ડિપ્રેશનના સ્વરૂપમાં હોવાથી રાજ્યમાં હજુ પણ બે દિવસ હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સાથે જ રાજ્યમાં 60થી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. આખા દિવસના ઊચાંટ બાદ વાવાઝોડું નબળું પડ્યું હોવાના સમાચાર મળ્યા હતાં અને મોડી રાત્રે તે દરિયામાં સમાયું હતું તેવું જાણવા મળ્યું હતું.
અમદાવાદ: ‘ઓખી’ વાવાઝોડ઼ું મોડી સાંજ પછી ઉત્તરોત્તર નબળું પડતું જતું હતું. છેલ્લે રાતે સાડા નવ વાગ્યાની આસપાસ તે સુરતના કાંઠેથી 200 કિમી દૂર દરિયામાં સ્થિત હતું. તેની હલન-ચલન એકદમ ધીમી પડી ગઈ હતી. આ દરમિયાન પવનની ઝડપ કલાકના 50 કિમી જેટલી રહી ગઈ હતી. રાતે 10:30 વાગે તે વધુ નબળું પડી ગયું હતું. જે મોડી રાતે જ દરિયામાં સમાઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે.