પાટણ કલેક્ટર કચેરી ખાતે આત્મદાહનો પ્રયાસ કરનાર દલિત કાર્યકરનું સારવાર દરમિયાન મોત
આ ઘટનાના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ચારે તરફથી સરકાર પર માછલા ધોવાઈ રહ્યા હતા. દરમિયાનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી આ મામલે યોગ્ય તપાસ કરવાની અને ભાનુભાઈની સારવારમાં તમામ મદદ કરવાની હૈયાધારણા આપી હતી. જોકે, ભાનુભાઈને ડોક્ટરો બચાવી શક્યા ન હતા. આ મામલો હવે રાજકીય બની ગયો છે. કોંગ્રેસ અને ભાજપ બંને એકબીજા પર આ મામલે રાજકારણ ખેલવાનો આરોપ લગાવી રહ્યા છે. જ્યારે દલિત સમાજમાં આ મામલે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.
સમી તાલુકાના દુદખા ગામનો એક દલિત પરિવાર છેલ્લા છએક મહિનાથી ગામની એક જમીન પોતાના નામે કરાવવા પાટણ કલેક્ટર કચેરીના ધક્કા ખાઈ રહ્યો હતો. ગુરુવારે આ પરિવાર અને ઊંઝાના દલિત કાર્યકર ભાનુભાઈ વણકર સહિતના લોકો પાટણ કલેક્ટર કચેરીએ ન્યાયની માગણી સાથે પહોંચ્યા હતા. પોલીસની હાજરીમાં જ ભાનુભાઈએ પોતાના શરીર પર જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ ચાંપી દીધી હતી અને કલેક્ટર ઓફિસ તરફ દોટ મૂકી હતી. ફાયરબ્રિગેડના કર્મચારીઓ, પોલીસ અને કલેક્ટર કચેરીના સ્ટાફે તેમના પર પાણી, પાઉડરનો મારો ચલાવી, તેમજ ધાબાળા વગેરેથી આગ ઓલવી નાખી હતી. જોકે, ભાનુભાઈ ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે લઈ જવાયા હતા અને બાદમાં અમદાવાદની એપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં આજે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
બીજી બાજુ શુક્રવારે આ ઘટનાને લઈને ફરજપરના પોલીસકર્મીઓ સામે આત્મવિલોપનની ફરિયાદ નોંધવામાં આવી હતી. દલિત સમાજે પણ રેલી કાઢી પાટણમા દુકાનો બંધ કરાવી હતી.આ લખાય છે ત્યાં સુધી મૃતદેહના પીએમની કાર્યવાહી શરૂ કરાઈ નથી. પીએમ કર્યા પછી નક્કી કરવામાં આવશે તે તેમના મૃતદેહને પાટણ લઈ જવામાં આવે કે તેમના વતન ઊંઝા.
અમદાવાદઃ જમીન મુદ્દે ગુરુવારે કલેકટર કચેરીમાં આત્મવિલોપન કરનાર ભાનુભાઈ વણકરનું શુક્રવારે મોડી રાત્રે એપોલો હોસ્પિટલમાં મોત થયું હતું. ગુરુવારે સાંજે એપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા ત્યારથી તેમની હાલત ગંભીર હતી. શુક્રવારે પણ તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. જ્યાં તેમણે શ્વાસ છોડી દીધા હતા. હોસ્પિટલના તબીબોએ પરિવારજનોની રાહ જોયા પછી તેમનું મોત થયાની પુષ્ટિ કરી હતી.