અંજારમાં બે બહેનોને વિધર્મી યુવક ભગાડી જતાં જૂથ અથડામણ, ટોળાએ દુકાનમાં ચાંપી આગ
મળતી માહિતી પ્રમાણે, 28 ફેબ્રુઆરીના રોજ અંજારમાં રહેતા એક જ પરિવારની બે બહેનોને વિધર્મી યુવક ભગાડી જતાં પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ બે દિવસ બાદ પણ યુવતીઓનો કોઇ જાણકારી ના મળતા પરિવારજનો અને સમાજના લોકો રોષે ભરાયા હતા.
અંજારઃ અંજારમાં એક વિધર્મી યુવક દ્ધારા બે બહેનોને ભગાડી જતાં ટોળાએ બજારમાં આવેલી યુવકની દુકાનનો સામાન બહાર ફેંકી દુકાન અને સામાનમાં આગ લગાવી દીધી હતી. મળતી વિગતો અનુસાર, હજુ સુધી યુવક અને બે બહેનોનો કોઇ પત્તો લાગ્યો નથી. ઘટનાને પગલે ભારે સુરક્ષા વ્યવસ્થા ખડકી દેવામાં આવી હતી.
આગની જાણકારી મળતા પોલીસ અને ફાયરફાઇટર્સ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. બનાવના પગલે પૂર્વ કચ્છની પોલીસ અંજારમાં ખડકી દેવાઇ હતી. પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી.
દરમિયાન શુક્રવારે સાંજે 4:30 વાગ્યે 400થી 500 લોકોના ટોળાએ 12 મીટર બજારમાં આવેલી આરોપી યુવકની દુકાન પાસે પહોંચ્યા હતા અને દુકાનમાં બેઠેલા વ્યક્તિને માર મારી દુકાનનો સામાન બહાર ફેંકી આગ ચાંપી દીધી હતી. ટોળાએ દુકાનનો સામાન અને ફર્નિચર સહિતનો માલ રસ્તા પર ફેંકી આગ ચાંપી દીધી હતી.