ગુજરાતમાં આટલા યુવાનો છે બેરોજગાર, સરકારે વિધાનસભામાં કર્યો ખુલાસો, જાણો
આણંદમાં 23,175 બેરોજગારો પૈકી બેને, ગીર સોમનાથમાં 7687 બેરોજગારો પૈકી માત્ર ત્રણને, વડોદરામાં 37,937 બેરોજગારો પૈકી ચારને સરકારી નોકરી મળી હતી. તો તાપીમાં 9975 પૈકી પાંચને સરકારી નોકરી મળી છે.
ગાંધીનગર: ગુજરાતમાં બેરોજગારી ચરમસીમાએ પહોંચી છે. શિક્ષિત યુવાનોને નોકરી-રોજગારી આપવાના ભાજપ સરકારના દાવા સામે અનેક સવાલો ઉભા થયા છે. ખુદ સરકારના આંકડા પરથી આ સાબિત થયા છે. સોમવારે વિધાનસભામાં રાજ્ય સરકારે આપેલી વિગતો અનુસાર છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં 5.37 લાખ બેરોજગારોની નોંધણી થઈ છે જેમાંથી માત્ર 12,869ને જ સરકારી નોકરી આપવામાં આવી છે.
ખાસ વાત એ છે કે, સરકારી નોકરી મેળવવામાં નર્મદા જિલ્લા સૌથી આગળ છે. જિલ્લામાં 2576 યુવાનોને સરકારી નોકરી મળી છે.
વિધાનસભામાં કોંગ્રેસના સભ્યએ પુછેલા એક પ્રશ્નનના ઉત્તરમાં આ જવાબ મળ્યો છે. અમદાવાદમાં 62,608 બેરોજગારો નોંધાયા હતા. જેમા માત્ર 411ને જ સરકારી નોકરી મળી છે. ખેડામાં 20,988, પંચમહાલમાં 13,227, વલસાડમાં 14,967 બેરોજગારો નોંધાયેલા છે. જેમાં એકને પણ સરકારી નોકરી મળી નથી.