જાણો પાટણમાં હાર્દિકે શું આપી ભાજપને ચીમકી, કહ્યુ- બીજા બે દેશદ્રોહના કેસ કરો, ડરતો નથી
હાર્દિકે જણાવ્યું કે, અનામત માટે અમિત શાહ અને વિજય રૂપાણીને પ્રુફ આપ્યા છે. છતાં અનામત મળી નથી. મારા પર દેશદ્રોહના બે કેસ છે હજુ લાગતા હોય તો પણ લગાડો જીવવું છે તો સન્માનથી. મને કોઇનો ડર લાગતો નથી. સરપંચથી પાર્લામેન્ટ સુધીની સીટો ખાલી કરવાની અમારામાં તાકાત છે.
પાટણ: શુક્રવારે પાટીદાર નેતા હાર્દિક પટેલે પાટણમાં સંબોધન કર્યુ હતું. અનામત આંદોલનના પ્રથમ તબક્કામાં પાટણ શહેરના મહત્વની ભૂમિકા ભજવનારા અંબાજી નેળીયા વિસ્તારમાં પાસે નેતા હાર્દિક પટેલે શુક્રવારે રાત્રે આક્રમક શૈલીમાં પાટીદારોની મેદનીને સંબોધી હતી. સંબોધનમાં હાર્દિકે ઘરમાં સોનું નહી પણ ગન રાખતાં અને લાકડી ફેરવતાં શીખી જવા હાકલ કરી હતી અને કહયું હતું કે આ આંદોલનની શરુઆત પાટણથી થઇ ચૂકી છે તેવી આશા તમારી પાસે રાખું છું.
તેણે કહયું કે યુવાનોની શહીદી ભૂલવાની હોય તો હું તમારી સાથે ન હોઇ શકું. અને જો ન ભૂલી ગયા હોય તો તમને શત શત નમન છે. રાજ્યમાં 1.20 કરોડ લોકો આપણી સાથે છે.
હાર્દિકે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પર પણ નિશાન સાધ્યું હતું કે આનંદીબેન કહે છે કે 90 ટકા કેસ પાછા ખેંચ્યા છે. જોયું તો ખબર પડી કે માત્ર 90 કેસ પાછા ખેંચાયા હતા. એટલે જ 1.20 કરોડ હાર્દિક પેદા થશે અને આ લોકોને ગાદી અને સત્તા છોડવી પડશે. છેલ્લા 18 મહિનાથી તૈયારીઓ ચાલી રહી છે સમય આવ્યે પરીક્ષામાં પાસ થઇ જજો.
હાર્દિકે આગળ કહ્યું કે 20 લાખ લોકો સાથે ન હોય તો કંઇ ફેરપડવાનો નથી. આપણે કોઇના બાપની જાગરી બનવાનું નથી. આપણી આદત બની ગઇ છે કે વોટ દેવા લાઇનમાં ઉભા રહેવાનું અને નોટ લેવા પણ લાઇનમાં ઉભા રહેવાનું.