પાટીદારોને અનામત આપવાના મુદ્દે નીતિન પટેલે શું આપી ખાતરી? જાણો વિગત
નીતિન પટેલે આક્ષેપ કર્યો કે, કોંગ્રેસ પાટીદાર સહિતના લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે. નીતિન પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણી સમયે અનામત આપવાનું વચન આપ્યું હતું અને પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હતો કેમ કે એ રીતે અનામત શક્ય જ નથી.
નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં અગાઉ ઈબીસી એટલે કે આર્થિક રીતે પછાત વર્ગનાં લોકોને અનામત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ અનામતને હાઈકોર્ટ ફગાવી દીધી છે. ગુજરાત સરકારે તેની સામે કરેલી અરજી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે તે અંગે પણ રાહ જોવી જરૂરી છે.
અમદાવાદઃ મહારાષ્ટ્રમાં ભાજપની દેવેન્દ્ર ફડણવિસ સરકાર 1 ડિસેમ્બરે મરાઠા સમાજનાં લોકોને પછાત ગણીને 16 ટકા અનામત આપવાની જાહેરાત કરે તેવી શક્યતા છે. તેના કારણે ગુજરાતમાં પાટીદારો પણ અનામતની માગણી સાથે ફરી સક્રિય થયા છે અને પાટીદારોને પણ મરાઠાઓની જેમ અનામત આપવાની માગ બુલંદ કરી છે.
હાર્દિક પટેલ સહિતના આગેવાનોનો આગ્રહ છે કે, મહારાષ્ટ્ર સરકારે મરાઠા સમાજને અનામત આપવાનો નિર્ણય કર્યો છે તેમાં કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ સર્વે કરાયો છે. ગુજરાતમાં અનામત આયોગ પણ આર્થિક માપદંડના આધારે સર્વે કરે અને સરકારનો અભિપ્રાય લેવામાં આવે તે પછી આગળની કાર્યવાહી થઈ શકે છે.
આ માહોલમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખાતરી આપતાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં મરાઠાઓને આપવામાં આવેલી અનામત કાનૂની રીતે યોગ્ય ઠરશે તો તે દિશામાં ગુજરાત સરકાર પણ આગળ વધશે અને પાટીદાર સહિતની જ્ઞાતિનાં લોકોને અનામત આપશે. આ દિશામાં સરકાર હકારાત્મક રીતે વિચારી રહી છે.