ઉદેયપુરમાં હાર્દિક પટેલના ઘરે આજે પાસ કન્વીનરોની બેઠક, જાણો શું લેવાશે નિર્ણય
અમદાવાદઃ હાર્દિકે મંગળવારે એટલે કે આજે ઉદયપુરમાં પોતાના નિવાસસ્થાને ખાસ બેઠક બોલાવી છે આજે બપોરે 12.30 કલાકે મળનારી આ બેઠકમાં હાજર રહેવા પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના તમામ તાલુકા અને જિલ્લાના કન્વીનરોને હાજર રહેવા કહેવાયું છે. હાલ હાર્દિકના નિવાસ્થાને પાસ કન્વીનરો પહોચવા લાગ્યા છે. આ બેઠકમાં અનામત સિવાયના બીજા કોઈ મુદ્દે કીએ ચર્ચા નહિ કરવાની હાર્દિકની કડક સૂચના છે.
હાર્દિકે ચીમકી આપી છે કે તેમનું આંદોલન પાટીદાર સમાજના હિત માટે છે અને સમાજને તોડવા કે લોલીપોપ આપવાનો પ્રયાસ થશે તો જાન્યુઆરીમાં દંગલ ખેલાશે. હાર્દિકને હાઈકોર્ટે જામીન આપતી વખતે છ મહિના ગુજરાત બહાર રહેવાની શરત લાદી છે તે આવતા મહિને પૂરી થાય છે.
આજની બેઠકમાં પાસના 11 કન્વીનરની ટીમ રચાશે અને આ ટીમ સરકાર સાથે ચર્ચા કરશે. હાર્દિકે સ્પષ્ટતા કરી છે તે પાટીદાર અનામત આંદોલન સમિતિની પ્રાથમિકતા સમાજને અનામત નો લાભ મળે તે છે અને સરકાર સાથે પાટીદારોને અનામત તથા પોલીસ દમનના મુદ્દા પર ચર્ચા થશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ) સાથે અનામત મુદ્દે ચર્ચા કરવાની તૈયારી દર્શાવી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના માધ્યમથી હાર્દિક સહિતના નેતાઓને ચાર્ચા માટે નિમંત્રણ આપ્યું હતું.
આ ચાર મુદ્દામાં પાટીદારોને બંધારણીય અનામત આપો, શહીદ પાટીદાર ભાઈઓને આર્થિક સહાય આપો, દોષિત પોલીસને સસ્પેન્ડ કરો અને પાટીદાર આયોગ એ મુદ્દાઓનો સમાવેશ થાય છે. હાર્દિક પટેલના આ મેસેજ સામે પાટીદારોનો પ્રતિભાવ શું રહે છે તે જોવાનું રહે છે.