પાટીદારોમાં ચર્ચાઃ સરકારને પાટીદારોના પ્રશ્નો ઉકેલવામાં રસ હોય તો ‘પાસ’ સાથે સીધી કેમ મંત્રણા કરતી નથી?
ભાજપ સરકારના મંત્રી સૌરભ પટેલે પત્રકાર પરિષદ કરી તેના કલાકોમાં તો પાટીદારોની સંસ્થાઓએ બેઠક પણ યોજી દીધી અને પછી તરત જ ભાજપ સરકારના પ્રધાનોને મળી પણ લીધું. પાટીદાર આગેવાનોએ એ જ વાતો કરી કે જે સૌરભ પટેલે કરી હતી તે જોતાં બધું સ્ક્રીપ્ટ પ્રમાણે થઈ રહ્યું હોવાની ચર્ચા પાટીદારોમાં ચાલી રહી છે.
જો કે આ ઘટનાના પાટીદાર સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. પાટીદારોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, ભાજપ સરકારને ખરેખર હાર્દિક પટેલના ઉપવાસ સંકેલાય અને પાટીદારોના પ્રશ્નો પણ ઉકેલવામાં રસ હોય તો ‘પાસ’ના પ્રતિનિધીઓને સીધા જ ચર્ચા કરવા કેમ નથી બોલાવતી ? શા માટે બીજા બધાંને પકડે છે?
સોશિયલ મીડિયા પર સી.કે. પટેલની વિરૂદ્ધ કોમેન્ટ્સ પણ થઈ રહી છે. હાર્દિક પટેલે પણ આ પાટીદાર આગેવાનોને પોતાના પ્રતિનિધી માનવાનો ઈન્કાર કરી દીધો છે. તેના કારણે પણ પાટીદાર સમાજનો એક વર્ગ તેમના ઈરાદાઓ અંગે શંકા સેવી રહ્યો છે.
ગાંધીનગર: પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે 12મો દિવસ છે. હાર્દિકને મળેલા સમર્થનથી ભાજપ સરકાર દોડતી થઈ છે. ગુજરાત સરકારે આ સમસ્યા ઉકેલવા મંગળવારે પાટીદાર સમાજની અગ્રણી 6 સંસ્થાના આગેવાનોને મંત્રણા માટે બોલાવ્યા હતા.
પાટીદારોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, સી.કે. પટેલ સહિતના કહેવાતા પાટીદાર આગેવાનો ભાજપ સરકારના ઈશારે વર્તી રહ્યા છે. હાર્દિક પટેલના ઉપવાસને 10 દિવસ થઈ ગયા એ દરમિયાન તેમણે કોઈ સળવળાટ નહોતો બતાવ્યો અને જાણે કશું બન્યું જ ના હોય એ રીતે વર્તતા હતા.