પાટીદાર આંદોલનકારીઓ સાથે ચર્ચા માટે ભાજપ સરકાર તૈયારઃ હાર્દિક-લાલજીએ શું આપ્યો જવાબ?
આંદોલનકારી પાટીદાર સંગઠનોએ સરકારને સમાધાન માટે 4 મુદ્દા આપ્યા છે. આ ચાર મુદ્દામાં પાટીદારોને આર્થિક ધોરણે અનામત, પાટીદાર અનામત આંદોલનમાં માર્યા ગયેલા શહીદ પાટીદારના પરિવારને સરકારી નોકરી, પાટીદારો સામેના પડતર કેસોનો નિકાલ તથા પટેલો પર પોલીસ દમન મામલે પગલાંનો સમાવેશ થાય છે.
શનિવારે સોલામાં યોજાનારા પાસના ક્રાંતિકારી કાર્યકર્તા સંમેલન માટે જગ્યાની મંજૂરી સરકારના ઇશારે રદ કરાઇ હોવાની નારાજગી પાટીદારોમાં જોવા મળી રહી છે ત્યારે આ નિવેદન રાજકીય દ્રષ્ટીએ મહત્વપૂર્ણ મનાય છે. નીતિન પટેલે જણાવ્યું કે, પાસ અને એસપીજી તેમજ અન્ય પાટીદાર સંસ્થાઓ સમાધાન માટે તૈયાર છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, પાટીદાર અનામત મામલે આંદોલનકારી સંગઠનો તેમજ પાટીદાર સમાજની સંસ્થાઓ દ્વારા યોગ્ય નિરાકરણ થાય તે માટે રજૂઆત કરાઇ છે તેથી આંદોલનકારી સંસ્થાઓના હોદ્દેદારો સાથે ચર્ચા કરવા સરકારે નિર્ણય કર્યો છે. અમે શક્ય તેટલી વહેલી તકે પાટીદારોના પ્રશ્નો મામલે ચર્ચા શરૂ કરીશું.
હાર્દિક પટેલે જણાવ્યું કે અમે પાટીદાર અનામત આંદોલન મુદ્દે ચાર મુદ્દાઓનું આવેદનપત્ર બહુ પહેલાં રાજ્ય સરકારને સુપરત કરેલું છે. સરકાર જ્યારે પણ ચર્ચા માટે બોલાવશે અને અમારા મૂદ્દાઓ પર અમલ કરવાની ખાતરી આપશે તો અમે ચોક્કસપણે પાટીદાર સમાજના ભલા માટે સમાધાન વિશે વિચારીશું.
બીજી તરફ સરદાર પટેલ ગ્રુપ (SPG)ના નેતા લાલજી પટેલે પણ કહ્યું છે કે, અમને લેખિત આમંત્રણ મળશે તો અમે પણ સરકારના પ્રતિનિધીઓને મળીશું. લાલજી પટેલે કહ્યું ઘણા સમય પહેલાં અમારા મૂદ્દાઓ સરકારને સોંપેલા છે. જ્યારે પણ અમને સરકાર દ્વારા લેખિતમાં આમંત્રણ મળશે તે પછી અમે ચોક્કસપણે મીટીંગ કરીશું.
મહેસાણા: ગુજરાત સરકારે પાટીદારોના અનામત આંદોલનના ઉકેલ માટે આંદોલનકારી નેતાઓ સાથે ચર્ચા માટેની તૈયારી બતાવી છે ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના નેતા હાર્દિક પટેલે જણાવ્યું છે કે રાજ્ય સરકાર અમારા ચાર મુદ્દાનો સ્વીકાર કરે, અમે ચર્ચા માટે તૈયાર છીએ.