H-TAT શિક્ષકોના કેસમાં હાઈકોર્ટે આપ્યો શું મોટો ચુકાદો? જાણો વિગત
આ કેસમાં રાજ્ય સરકાર વતી થયેલી અપીલમાં મુખ્ય સરકારી વકીલ મનીષા લવકુમાર શાહે એવી દલીલ કરી હતી કે, સિંગલ જજ દ્વારા આ મામલે વચગાળાનો સ્ટે ઓર્ડર આપ્યો છે અને તેથી સરકાર આ કેસના પ્રતિવાદી શિક્ષકોના સ્થાને નવા શિક્ષકોને હેડ ટીચર્સ તરીકે મુકી શકતી નથી. જેના કારણે વહીવટી કામમાં મુશ્કેલી થઈ રહી છે. એટલું જ નહીં જે 22 શિક્ષકો છે તે પૈકી માત્ર સાતે એચ-ટાટની પરીક્ષા આપી છે અને તેઓ ક્વોલિફાય થઇ શક્યા નથી. જ્યારે કે અન્યોએ કોઇ પણ પ્રકારની વિગતો રજૂ કરી નથી. જેથી સિંગલ જજે આ અરજદાર શિક્ષકો કોઇ રાહત મેળવવાની પાત્રતા ધરાવતા નથી, તે તથ્યને ધ્યાનમાં ના લઇને ભારે ભૂલ કરી છે. તેથી સ્ટે ઓર્ડરને રદ કરી અપીલને ગ્રાહ્ય રાખવામાં આવે.
આ કેસમાં હાઇકોર્ટના સિંગલ જજે અરજદારોને વચગાળાનો આદેશ કરી સરકારની કાર્યવાહી પર સ્ટે આપ્યો હતો. જેને રાજ્ય સરકારે પડકાર્યો હતો અને રજૂઆત કરી હતી કે, વચગાળાના આ આદેશના પગલે નવા નિયમ અનુસાર હેડ ટીચર્સની ભરતી નથી થઈ શકતી અને વહીવટી કામ અટવાઈ પડ્યું છે. આ પ્રકારની રજૂઆતો અને અગાઉ પણ હાઇકોર્ટે શિક્ષકોની પિટિશનોને રદ કરવાનો આદેશ કર્યો હોઇ તે તમામ સંજોગોને ધ્યાને લઇ ચીફ જસ્ટિસની ખંડપીઠે સરકારની અપીલ ગ્રાહ્ય રાખી સિંગલ જજના આદેશને ભૂલભરેલો ગણી રદ કર્યો હતો.
અમદાવાદઃ પ્રાથમિક શાળામાં અગાઉ સિનિયોરિટીના આધારે હેડ ટીચર્સની નિમણૂક પામેલા શિક્ષકોના કેસમાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસ આર.સુભાષ રેડ્ડી અને જસ્ટિસ વી.એમ. પંચોલીની ખંડપીઠે સિંગલ જજે આપેલી વચગાળાની રાહતને રદ કરતો ચુકાદો આપ્યો છે. રાજ્ય સરકારે હેડ ટીચર્સની નિમણૂક માટેના નવા નિયમો સાથેનું જાહેરનામું કરતા તેને શિક્ષકોના એક ગ્રૂપ દ્વારા હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યું હતું.
સામે પક્ષે શિક્ષકો તરફથી રાજ્ય સરકારની દલીલનો વિરોધ કરવામાં આવ્યો હતો અને સિંગલ જજ દ્વારા આપવામાં આવેલી યોગ્ય હોવાનું જણાવી સરકારે તેની સામે કરેલી અપીલ રદ કરવાની રજૂઆત કરી હતી. વધુમાં એવા મુદ્દા પણ રજુ કર્યા હતા કે,અરજદાર શિક્ષકોની પ્રાથમિક શિક્ષક તરીકેને ભરતી તેમની યોગ્યતાના આધારે કરવામાં આવી હતી. તેઓ પોતપોતાની શાળાના હેડ ટીચર્સ તરીકે કાર્ય કરી રહ્યા છે. સરકારની નીતિ મુજબ તેમની સિનિયોરિટીના આધારે તેમને હેડ ટીચર્સ બનાવાયા હતા.