બજેટ પહેલા સર્વપક્ષીય બેઠકમાં PM મોદીએ કહ્યું, વિપક્ષના સૂચનો પર ગંભીરતાથી વિચાર કરશે સરકાર
નવી દિલ્હીઃ સંસદના બજેટ સત્ર પહેલા રવિવારે સાંજે સર્વપક્ષીય બેઠક યોજાઇ હતી. જેમાં બજેટ, ત્રણ તલાક અને જીએસટી મુદ્દે ચર્ચા થઈ હતી. સંસદીય કાર્યમંત્રી અનંત કુમારે કહ્યું કે, બેઠકમાં વિપક્ષના મુદ્દાને ગંભીરતાથી લેવામાં આવ્યો છે અને સરકાર તેના પર વિચાર કરશે. બેઠકમાં વિપક્ષા દળોને બજેટ સત્રમાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કર્યા બાદ સોમવારે બજેટ સત્રની શરૂઆત થશે. રાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળ્યા બાદ કોવિંદ પ્રથમ વખત સંસદની સંયુક્ત બેઠકને સંબોધન કરશે.
કેન્દ્રીય બજેટ એક ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ કરાશે. 9 ફેબ્રુઆરીના સત્રમાં અવકાશ જાહેર કરાશે. બજેટ સત્રનો બીજો તબક્કો પાંચ માર્ચથી શરૂ થશે, જે છ એપ્રિલ સુધી ચાલશે. આ સત્રમાં અનેક મહત્વપૂર્ણ ખરડા લાવવામાં આવશે. જેમાં પછાત વર્ગો માટે આયોગ અને ત્રિપલ તલાક બિલનો સમાવેશ થાય છે.
અનંત કુમારના કહેવા મુજબ, પીએમ મોદીએ આ બેઠકમાં કહ્યું કે આગામી બજેટ સત્ર દેશ માટે મહત્વનું છે. સરકાર વિપક્ષની સૂચનો પર ગંભીરતાથી વિચાર કરશે. અનંત કુમારે કહ્યું કે રાજ્યસભામાં ત્રિપલ તલાક બિલ જલદી પરસ્પર સહમતિથી પાસ થઈ જશે તેવો વિશ્વાસ છે. આ મુદ્દે રાજનીતિ ન થવી જોઈએ અને વિપક્ષોએ મુસ્લિમ મહિલાઓના હિતોને ધ્યાનમાં રાખી સરકારનો સાથ આપવો જોઈએ.