ગુજરાતથી રાજ્યસભાની ચૂંટણી લડશે અમિત શાહ અને સ્મૃતિ ઈરાની

અમિતભાઇ શુક્રવારે સવારે ગાંધીનગર પહોંચશે જ્યારે કેન્દ્રીયપ્રધાન ઇરાની ગુરુવારે સાંજે કોબા ખાતે મળનારી ભાજપના ધારાસભ્યોની બેઠકમાં હાજરી આપશે અને શુક્રવારે અમિતભાઇ સાથે જ ફોર્મ ભરશે. અમિત શાહ આગામી 2017 ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવાના નથી તેવી જાહેરાત અગાઉ મુખ્યપ્રધાન વિજય રૂપાણી કરી ચૂક્યા છે.
અમિતભાઇ અને સ્મૃતિ ઇરાનીનો વિજય સ્પષ્ટ છે. રાજ્યસભામાં પ્રવેશ્યા બાદ જો અમિતભાઇ નારણપુરાની બેઠક પરથી રાજીનામું આપશે તો વિધાનસભાની ચૂંટણીમાં માત્ર છ માસનો જ સમય બાકી રહેતો હોવાથી પેટા ચૂંટણીનો પ્રશ્ન પણ ઉપસ્થિત થશે નહીં.
રાજ્યસભાની ત્રણ બેઠકો માટેની ચૂંટણીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સરપ્રાઇઝ એન્ટ્રી મારતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપનો પેંતરો કોંગ્રેસના મહારથી અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર એહમદભાઇ પટેલને હંફાવવાનો કે હરાવવાનો હોય તેમ સ્પષ્ટ જણાય છે. ગુજરાતમાંથી અમિતભાઇ વિધાનસભા છોડી સંસદમાં જાય તો આવનારા દિવસોમાં કેન્દ્રીય ગૃહ મંત્રી બને એવી અટકળો પણ વેગવંતી બની છે.
અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ પણ રાજ્યસભાની ચૂંટણીમાં ઝુકાવ્યુ છે. જ્યારે સ્મૃતી ઈરાનીએ પુન: ટિકિટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ સૌથી મહત્વપુર્ણ બાબત એટલે શંકરસિંહ જુથના બળવંતસિંહ રાજપુત રાજ્યસભામાં ભાજપના ત્રીજા ઉમેદવાર તરીકે ઉભા રહેશે.