બાબરી મસ્જિદ ધ્વંશને 25 વર્ષ પૂરા, ઉત્તર પ્રદેશમાં એલર્ટ

વર્ષોથી ચાલ્યા આવતા રામ મંદિર-બાબરી મસ્જિદ વિવાદને ઉકેલવા માટે થોડા દિવસો પહેલા આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા અને આધ્યાત્મિક ગુરુ શ્રીશ્રી રવિશંકરે પ્રયાસ કર્યો હતો. આ માટે તેઓ યુપીના સીએમ યોગી આદિત્યનાથ, સંતો-મહંતો તથા શિયા વક્ફ બોર્ડના પદાધિકારીઓને મળ્યાં હતા.
બાબરી મસ્જિદ તોડી પાડવાની ઘટનાના 25 વર્ષ પૂરા થવાના અનુસંધાને દેશભરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેન્દ્રએ તમામ રાજ્યોને સતર્ક રહેવા અને શાંતિ જળવાઈ રહે તે જોવાનો આદેશ આપ્યો છે. પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી કોલકાતામાં આજના દિવસે રેલી કરશે. ડાબેરીઓ પણ બાબરી મસ્જિદ તોડી પાડવાનો વિરોધ કરશે.
લખનઉઃ બાબરી મસ્જિદ ધ્વંશ કર્યાને આજે 25 વર્ષ થઈ ગયા છે. 6 ડિસેમ્બર 1992ના રોજ બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી. જેનો કેસ આજે પણ કોર્ટમાં ચાલે છે. આ અવસર પર વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગ દળે શૌર્ય દિવસ એટલે કે વિજય દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. જ્યારે મુસ્લિમ સંગઠનોએ આ દિવસ યૌમ-એ-ગમ એટલે કે દુખના દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. એવામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કેન્દ્ર સરકારની એડવાઈઝરી બાદ અયોધ્યા અને ફૈજાબાદમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસની સાથે સાથે સંવેદનશીલ વિસ્તારમાં સીઆરપીએફ અને આરએએફનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.