બેંકમાં સેવિંગ્સ એકાઉન્ટ હોલ્ડરને આજથી મળશે આ મોટી ભેટ, જાણો વિગત

અત્યારે સેવીંગ ખાતામાંથી રોકડ ઉપાડની મર્યાદા 24,000 રૂપિયા છે. તમે એટીએમમાંથી જે રકમ કાઢો તે પણ સેવિંગ્સ ખાતામાંથી જ ઉપાડ ગણાય છે. ક્રેડીટ પોલીસીની જાહેરાત કરતી વખતે રિઝર્વ બેંકે જાહેરાત કરી હતી કે 20 ફેબ્રુઆરીથી રોકડ ઉપાડની લીમીટ વધી જશે.
નવી દિલ્લીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000 રૂપાની નોટો રદ કરવાની જાહેરાત કરી પછી બેંકના ખાતેદારો પર સંખ્યાબંધ નિયંત્રણો આવી ગયા હતાં. આ પૈકી એક નિયંત્રણ સેવિંગ્સ ખાતામાંથી ચેક દ્વારા અને એટીએમમાંથી કરાતા ઉપાડ પર હતો. આ નિયંત્રણના કારણે લોકો ભારે પરેશાન થઈ ગયા હતા.
હવે નોટબંધીની અસર હળવી થઈ છે ત્યારે આજથી એટલે કે 20 ફેબ્રુઆરીથી સેવિંગ એકાઉન્ટ ધરાવતા લોકોને બહુ મોટી રાહત મળશે. આવતી કાલથી સેવિંગ્સ એકાઉન્ટમમાંથી રોકડ ઉપાડની સાપ્તાહિક મર્યાદા 24,000 રૂપિયાથી બમણા કરતાં પણ થોડી વધુ વધારીને 50,000 થઇ જશે.
આ જોગવાઈના અમલ સાથે જ તમે એક સપ્તાહમાં તમારા સેવિંગ્સ બેંક ખાતામાંથી કુલ 50,000 રૂપિયાની રોકડ કાઢી શકશો. એ જ રીતે સેવિંગ્સ બેંક એકાઉન્ટ સાથે સંકળાયેલા એટીએમ કાર્ડથી પણ એક સપ્તાહમાં 50 હજાર રૂપિયા સુધીની રકમ કાઢી શકાશે.
અલબત્ત સેવિંગ્સ એકાઉન્ટ માટે મોટી રાહત 13 માર્ચે આવશે કેમ કે 50,000 રૂપાના સાપ્તાહિક ઉપાડની આ મર્યાદા 13 માર્ચ સુધી જ અમલી રહેશે. તે પછી બચત ખાતામાંથી પૈસા કાઢવા અંગે કોઇ મર્યાદા રહેશે નહી અને દરેક ખાતાધારક પોતાના ખાતામાંથી ઈચ્છે એટલી રકમ ઉપાડી શકશે.