સરકાર જાન્યુઆરીથી વધારશે મોંઘવારી ભથ્થું, 50 લાખ કર્મચારી અને 58 લાખ પેન્શનધારકોને થશે ફાયદો
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર ટૂંકમાં જ મોંઘવારી ભથ્થું બેથી ચાર ટકા વધારવાની જાહેરાત કરી શકે છે. તેનાથી 50 લાખ કર્મચારીઓ અને 58 લાખ પેન્શનધારકોને લાભ થશે. મોંઘવારી ભથ્થું કર્મચારીઓ અને પેન્શનધારકોને એટલા માટે આપવામાં આવે છે જેથી તેમની આવક પર મોંઘવારીની કોઈ અસર ન થાય.
5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ચાલુ મહિનાના અંત સુધીમાં તેની જાહેરાત થઇ શકે છે. ડીએમાં થનારો વધારો 1 જાન્યુઆરી, 2017ની પાછલી અસરથી લાગુ થશે. જોકે, શ્રમિક સંગઠનો ડીએમાં પ્રસ્તાવિત વધારાથી નાખુશ છે.
કેન્દ્રીય કર્મચારી સંઘના અધ્યક્ષ કે.કે.એન. કુટ્ટીએ કહ્યું કે ઔદ્યોગિક શ્રમિકો માટે ડીએ ઉપભોક્તા મૂલ્ય સૂચકઆંક (સીપીઆઇ-આઇડબલ્યુ)ના આધાર પર વધે છે પણ લેબર બ્યૂરો દ્વારા ઓછી ગુણવત્તાના આંકડા એકત્રિત કરાતાં સીપીઆઇ-આઇડબલ્યુ કાલ્પનિક સંખ્યા બનીને રહી ગઇ છે. બ્યૂરોએ અને કૃષિ મંત્રાલયે આંકેલા વસ્તુઓના ભાવવધારામાં તફાવત છે.
સીપીઆઇ-આઇડબલ્યુ પ્રમાણે ડીએ 4.95 ટકા વધવું જોઇએ પણ સરકાર 1 જુલાઇ, 2016થી ડીએ 2 ટકા વધારી ચૂકી છે, જેથી હવે તેમાં માત્ર 2 ટકાનો વધારો કરાશે. ડીએના દર નક્કી કરતી વખતે પોઇન્ટ પછીના આંકડા ધ્યાનમાં લેવાતા નથી. નોંધનીય છે કે સરકારી કર્મચારીઓને તેમના બેઝિક પગાર મુજબ મોંઘવારી ભથ્થું અપાય છે.