છત્તીસગઢ: BSP સાથે ગઠબંધન બાદ અજિત જોગી વિધાનસભા ચૂંટણી નહીં લડે, જાણો શું છે કારણ?

આ અગાઉ અજીત જોગીએ જાહેર કર્યું હતું કે, તે મુખ્યમંત્રી રમણસિંહ સામે રાજનંદગાંમ બેઠક પરથી ચૂંટણી લડશે. તેના માટે તે છેલ્લા બે મહિનાથી પ્રચાર પણ કરી રહ્યા હતા. પરંતુ આ નિર્ણય બાદ પાર્ટી નક્કી કરશે કે રાજનંદગામથી કોણ ચૂંટણી લડશે.
રાયપુર: છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પહેલા અજિત જોગીની પાર્ટી જનતા કૉંગ્રેસે બસપા સાથે મહાગઠબંધન કર્યું છે. આ ગઠબંધન બાદ અજિત જોગી મુખ્યમંત્રી પદના ઉમેદવાર માનવામાં આવી રહ્યા હતા પરંતુ તેણે ચૂંટણી પહેલા મોટો નિર્ણય લીધો છે. પૂર્વ મુખ્યમંત્રી અને છત્તીસગઢ જનતા કૉંગ્રેસ(જેસીસી) પાર્ટીના પ્રમુખ અજીત જોગી આગામી વિધાનસભા ચૂંટણી નહીં લડે તેવું તેના પુત્ર અમિત જોગીએ જણાવ્યું હતું.
અમિત જોગીએ શુક્રવારે જણાવ્યું કે જેસીસી, બહુજન સમાજ પાર્ટી અને સીપીઆઈ મહાગઠબંધને નિર્ણય કર્યો છે કે, 90 બેઠકોવાળી વિધાનસભા માટે અજીત જોગી ચૂંટણી નહીં લડે. તેમણે કહ્યું અજીત જોગી પોતે ચૂંટણી લડવાની જગ્યાએ ચૂંટણી પ્રચાર પર વધારે ધ્યાન આપશે. જેના પાછળનું લક્ષ્ય પાર્ટીના પ્રચારને મજબૂત બનાવીને છત્તીસગઢમાં સરકાર બનાવવાનું છે.
ઉલ્લેખનીય છે કે, 20 સપ્ટેમ્બરે માયાવતીની પાર્ટી બીએસપીએ અજીત જોગીની પાર્ટી સાથે ગઠબંધન કર્યું હતું. માયાવતીએ કહ્યું હતું કે તેમની પાર્ટી 35 બેઠક અને જેસીસી 55 બેઠકો પર ચૂંટણી લડશે. રાજ્યમાં પ્રથમ તબક્કાની ચૂંટણી 11 નવેમ્બરે યોજાશે.