ઈશરત કેસમાં PM નરેન્દ્ર મોદીની પણ થઈ હતી પૂછપરછ, કોણે કર્યો આ ચોંકાવનારો દાવો
1987ની બેચના આઈપીએસ અધિકારી ડી.જી. વણઝારા એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ માનવામાં આવે છે. પહેલા તેઓ ક્રાઇમ બ્રાંચમાં હતા અને પછી ગુજરાત એટીએસમાં પણ રહી ચૂક્યા છે. 2002થી 2005 દરમિયાન વણઝારાએ આશરે 20 એન્કાઉન્ટર કર્યાં હતાં, પરંતુ જ્યારે તપાસ થઈ ત્યારે જાણ થઈ હતી કે તમામ એન્કાઉન્ટર નકલી હતાં. 2007માં વણઝારાની ધરપકડ કરવામાં આવી હતી.
આ સાથે એન્કાઉન્ટરની તપાસનો પણ આદેશ આપ્યો હતો. આ બનાવટી એન્કાઉન્ટરમાં માત્ર ડીજી વણઝારા જ નહી પણ અન્ય પોલીસ અધિકારીઓ પણ ફસાયા હતા. તેમાં ડીએસપી જે. જી, પરમાર, એસીપી એન. કે. અમીન અને એડીજીપી પી. પી. પાંડેનો પણ સમાવેશ થાય છે.
મુંબઈની 19 વર્ષિય ઈશરત, જાવેદ શેખ ઉર્ફે પ્રાણેશ પિલ્લઈ, અમજદ અલી અકબરઅલી રાણા અને જીશાન જૌહર 15 જૂન, 2004ના રોજ અમદાવાદના કોતરગામ પાસે એક કથિત એન્કાઉન્ટરમાં ઠાર મરાયાં હતાં. ગુજરાત પોલીસે એ વખતે દાવો કર્યો હતો કે, ઈશરત અને તેના ત્રણ સાથીઓ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યા કરવા અમદાવાદ આવ્યાં હતાં. જોકે આ એન્કાઉન્ટરને ગુજરાત હાઈકોર્ટના આદેશ પર રચાયેલી એસઆઈટીએ બનાવટી ગણાવ્યું હતું.
વણઝારાએ કહ્યું છે કે, સીબીઆઈ દ્વારા દાખલ કરાયેલ સાક્ષીઓનાં નિવેદન ખૂબ જ શંકાસ્પદ છે. પ્રથમ દ્રષ્ટિએ એ સાબિત કરવા માટે કોઈ સાક્ષ્ય નથી કે તેમની ચેમ્બરમાં રચવામાં આવેલા ષડયંત્રના પરિણામ સ્વરૂપ એન્કાઉન્ટ થયું, જેનો ચાર્જશીટમાં દાવો કરવામાં આવ્યો છે.
વણઝારા દ્વારા પોતાને આરોપમુક્ત કરવા માટે દાખલ કરેલી અરજી પર સ્પેશિયલ સીબીઆઈ જજ જે.કે.પંડ્યાએ સીબીઆઈને નોટિસ મોકલી 28 માર્ચ સુધી જવાબ માગ્યો છે. ભૂતપૂર્વ ડીઆઈજીએ ભૂતપૂર્વ ડીજીપી પી.પી.પાંડેને કેસમાંથી આરોપમુક્ત કરવાના આધાર પર પોતાને પણ આરોપમુક્ત કરવાની અપીલ કરી છે.
વણઝારાએ પોતાની અરજીમાં કહ્યું છે કે, એ તથ્ય પણ રહેશે કે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ તપાસ અધિકારીએ બોલાવ્યા હતા અને પૂછપરછ કરી હતી. જોકે આ કેસના રેકોર્ડમાં આવી સામગ્રી રાખવામાં આવી નથી. તત્કાલીન તપાસ ટીમ ઇચ્છતી હતી કે, રાજ્યના મુખ્યમંત્રી સુધી પહોંચી તેમને આરોપી બનાવવામાં આવે. તે માટે ચાર્જશીટની આખી સ્ટોરી ઘડવામાં આવી.
નવી દિલ્હીઃ ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી અને ઈશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસમાં આરોપી ડી. જી. વણઝારાએ એક ચોંકાવનારો દાવો કર્યો છે અને કહ્યું છે કે, તપાસ અધિકારીએ વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુપ્ત રીતે પૂછપરછ કરી હતી. આરોપમુક્ત કરવા માટે સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં દાખલ કરેલી પોતાની અરજીમાં વણઝારાએ મંગળવારે જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પણ પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ આ મામલે કોઈ રેકોર્ડ રાખવામાં આવ્યો નથી. આ પરથી સાબિત થાય છે કે, આ કેસના રેકોર્ડમાં રહેલી તમામ સામગ્રી બીજું કંઈ નહીં, પણ માત્ર ખોટી વાર્તા છે.