સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસઃ સીબીઆઇ કોર્ટે વણઝારા અને દિનેશને નિર્દોષ જાહેર કર્યા
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં મંગળવારે મુંબઈની સીબીઆઈ કોર્ટે ખાસ નિર્ણય કર્યો હતો જેમાં આઈપીએસ દિનેશ એમએનને આરોપમુક્ત જાહેર કર્યા હતાં. દિનેશ એમ એન અત્યારે રાજસ્થાનમાં ફરજ બજાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 26 નવેમ્બર 2005માં સોહરાબુદ્દીન એન્કાઉન્ટર મુદ્દે દિનેશને જેલની હવા ખાવી પડી હતી.
મુંબઇઃ મુંબઈની સીબીઆઈ કોર્ટે સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં નિવૃત્ત આઈપીએસ અધિકારી ડી.જી. વણઝારા અને આઈપીએસ અધિકારી દિનેશ એમએનને સંપૂર્ણ દોષ મુક્ત જાહેર કર્યા હતા. બંન્ને આઇપીએસને પુરાવાના અભાવે કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા. આ સંદર્ભે મુંબઇની ખાસ સીબીઆઇ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે સીબીઆઈની એક વિશેષ કોર્ટે સોહરાબુદ્દીન શેખ અને તુલસીરામ પ્રજાપતિના કથિત નકલી એન્કાઉન્ટરમાં મોત સંબંધમાં ગુજરાતના આઈપીએસ ઓફિસર રાજકુમાર પાંડિયનને આરોપમુક્ત કરી દીધા હતા.
નોંધનીય છે કે, સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ સપ્ટેમ્બર 2012માં સીબીઆઈની વિનંતીને લઈ મુંબઈમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સપ્ટેમ્બર 2013માં સુપ્રીમ કોર્ટે તુલસીરામના કેસને સોહરાબુદ્દીનના કેસ સાથે મર્જ કરી દીધો હતો. સીબીઆઇએ બંન્ને કેસમાં ડી.જી.વણજારા સહિત 38 કરતાં વધુ પોલીસ ઓફિસરની ધરપકડ કરી હતી. જેમાં હાલ તમામ આરોપીઓ જામીન પર બહાર આવી ગયા છે.