FY એપ્રિલ-માર્ચમાંથી બદલીને જાન્યુઆરી-ડિસેમ્બર કરવા પર સરકાર કરી રહી છે વિચાર, નવેમ્બરમાં રજૂ થઈ શકે છે બજેટ
નવી દિલ્હીઃ નાણાં પ્રધાન અરૂણ જેટલીએ શુક્રવારે સંસદમાં એક સવાલના જવાબમાં કહ્યું કે, સરકાર દેશનું નાણાંકીય વર્ષ એપ્રિલ-માર્ચની જગ્યાએ જાન્યુઆરી-ડિસેમ્બર કરવા પર વિચાર કરી રહી છે. તેમણે કહ્યું કે, નાણાંકીય વર્ષનો સમય બદલવાના મામલે સરકાર ગંભીરતાથી વિચાર કરી રહી છે.
જેટલીએ જણાવ્યું કે, સરકાર તરફથી બનાવવામાં આવેલ એક કમિટીએ આ મામલે એક અહેવાલ તૈયાર કર્યો છે. આ કમિટીના ચેરમેન પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર શંકર આચાર્યને બનાવવામાં આવ્યા છે. અહેવાલ સરકારને મળી ગયો છે. જોકે નાણાં પ્રધાને આ વિષય પર કંઈ કહ્યું નહીં કે બજેટ રજૂ કરતા સમયે પણ કંઈ ફેરફાર કરવામાં આવશે કે નહીં. જણાવીએ કે, ચાલુ વર્ષે સરકારે બજેટ રજૂ કરવા માટે ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, વિતેલા કેટલાક સમયથી એવા અહેવાલ આવી રહ્યા છે કે મોદી સરકાર દેશની આર્થિક સિસ્ટમમમાં મોટે ફેરફાર કરવા નાણાંકીય વર્ષ બદલીને જાન્યુઆરી-ડિસેમ્બર કરવા જઈ રહી છે. આ નવી વ્યવસ્થાથી સામાન્ય બજેટ નવેમ્બર મહિનામાં રજૂ કરવામાં આવી શકે છે. વિતેલા 150 વર્ષથી દેશમાં નાણાંકીય વર્ષ એપ્રિલથી માર્ચ પ્રમાણે ગણવામાં આવે છે. આ નવા પગલાથી 150 વર્ષ જૂની પરંપરા ખતમ થઈ જશે. પીએમ મોદી સરકાર તરફથી આ ફેરફારની વકાલત કરવા પર સરકારે નાણાંકીય વર્ષમાં ફેરફાર માટે કમિટીની રચના કરી હતી અને કેલેન્ડર વર્ષની જેમ જ કરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે.