ભારત પરત ફરી ઉઝમાઃ પાકિસ્તાન મોતનો કૂવો છે, ત્યાં તો પુરુષ પણ સુરક્ષિત નથી

બંદૂકની અણીએ લગ્ન કરવા મજબૂર કરાયેલી ઉઝમાએ વિદેશ મંત્રી સુષમા સ્વરાજ સાથેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે લગ્ન કરીને પાકિસ્તાન જનારી યુવતી ભારત પરત નથી આવી શકતી. ઉઝમાએ સુષમાનો આભાર માનીને કહ્યું હતું કે તેઓ તેને રોજ ફોન કરીને હિમ્મત પૂરી પાડતા હતા.
ઉઝમા તેની વાત જણાવતી વખતે ખૂબ જ ભાવુક બની ગઈ હતી. તેણે કહ્યું કે ‘મને ઊંઘની ગોળી આપવામાં આવી હતી અને ત્યાર પછી હું ક્યાં પહોચી ગઈ તેનો મને કંઈ જ ખ્યાલ રહ્યો નહતો.
બધું વિચિત્ર લાગી રહ્યું હતું, રોજ ફાયરિંગ થતું હતું. ત્યાં જુદા જુદા દેશમાંથી સંખ્યાબંધ યુવતીઓને લાવવામાં આવતી હતી અને તેમના પર અત્યાચાર કરાતો હતો. દરેક ઘરમાં બે પત્નીઓ હતી, ત્યાં મહિલાઓની સ્થિતિ ભારતથી બિલકુલ વિપરીત છે.
નવી દિલ્હીઃ પાકિસ્તાનની કોર્ટ તરફથી મંજૂરી મળ્યા બાદ ભારત પરત ફરેલ ઉઝમા અનેક સપ્તાહ બાદ પ્રથમ વખત પોતાની નાની દીકરીને મળી તો ભાવુક થઈ ગઈ. પત્રકારો સાથે વાત કરતાં ઉઝમાએ કહ્યું કે, પાકિસતાન મોતનો કુવો છે. મહિલાઓની વાત તો છોડો ત્યાં તો પુરુષ પણ સુરક્ષિત નથી. બુધવારે ઇસ્લામાબાદ હાઈ કોર્ટેથી ભારત પરત ફરવાની મંજૂરી મળ્યા બાદ ઉઝમા વાઘા બોર્ડર દ્વારા ગુરુવારે ભારત પરત ફરી હતી.
વિદેશ મંત્રીને વારંવાર ધન્યવાદ કરતી ઉઝમાએ કહ્યું કે હું વડાપ્રધાન મોદીની પણ આભારી છું. સુષમાએ આ અંગે કહ્યું કે, ‘ઉઝમા પરત ફરતા મેં રાહતનો શ્વાસ લીધો છે. આજે એક દીકરી પોતાની માતાને મળી છે અને તેની પોતાની પુત્રી પણ માતાને મળી હતી. પાકિસ્તાનના વિદેશ અને ગૃહ મંત્રાલયે પણ અમારી મદદ કરી હતી.’
કોર્ટે ચુકાદો આપતા જણાવ્યું હતું કે ઉઝમા ભારત પરત જઈ શકે છે. પાકિસ્તાનની પોલીસને પણ ઉઝમાને વાઘા બોર્ડર સુધી સુરક્ષિત પહોંચાડવા કોર્ટે નિર્દેશ આપ્યો હતો. ઉઝમા અહેમદે તેનું બળજબરીથી કઈ રીતે અપહરણ કરાયું અને તેને લગ્ન કરવા મજબૂર કરાઈ તેની બર્બરતા પણ વર્ણવી હતી. તેની દીકરીને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.