દિલ્લી પહોંચ્યા ઈઝરાયલના PM, મોદીએ નેતન્યાહૂને ભેટીને કર્યું સ્વાગત
નવી દિલ્લી: ઈઝરાયલના પીએમ નેતન્યાહૂ છ દિવસના ભારત પ્રવાસ માટે દિલ્લી પહોંચી ગયા છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ નેતન્યાહૂનું એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. 15 વર્ષ બાદ કોઈ ઈઝરાયલી પીએમની ભારતની યાત્રા છે. અગાઉ 2003માં પીએમ એરિયલ શેરૉન ભારત આવ્યા હતા. આ ઈઝરાયલી વડાપ્રધાનની કોઈ દેશની સૌથી લાંબી યાત્રા ગણાવાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રોટોકોલ તોડીને નેતન્યાહૂ અને તેમના પત્ની સારાને આવકારી હતી.
2017માં ભારત-ઈઝરાયલની મિત્રતાને 25 વર્ષ પૂરાં થયા છે. બંને દેશોએ ઉજવણી કરી. પીએમ મોદી ઈઝરાયલ ગયા. તે ઈઝરાયલ જનારા પ્રથમ વડાપ્રધાન હતા. નેતન્યાહૂની આ યાત્રા આ મિત્રતાને કેન્દ્રમાં રાખીને જ યોજાઈ રહી છે. આ મિત્રતા 1999માં ગાઢ બની જ્યારે કારગિલના યુદ્ધ દરમિયાન ઈઝરાયલે ભારતને ફક્ત એકવાર કહેવા પર લેઝર ગાઈડેડ બોમ્બ અને માનવરહિત વિમાન આપ્યાં હતા. ભારે માત્રામાં વિસ્ફોટક પણ આપ્યા હતા.
થોડા દિવસ અગાઉ ભારતે ઈઝરાયલ સાથેની 3181 કરોડ રૂ.ની એન્ટી ટેન્ક સ્પાઈક મિસાઈલ ડીલ અને રાફેલ વેપન્સ ડીલ રદ કરી દીધી હતી. જોકે હવે કહેવાય છે કે નેતન્યાહૂ મોદી સાથે આ ડીલને ફરીવાર કન્ફર્મ કરી શકે છે. તે હેઠળ ઈઝરાયલ ભારતને 8000 એન્ટી ટેન્ક સ્પાઈક મિસાઈલ આપશે.
નેતન્યાહૂ મોદીને ખારા અને ગંદા પાણીને શુદ્ધ કરતી જીપ ભેટમાં આપશે. તેની કિંમત 3.90 લાખ રૂ. છે. આ ગેલમોબાઈલ જીપ દરરોજ 20,000 લિટર સમુદ્ર અથવા 80,000 લિટર નદીના ગંદા પાણીને શુદ્ધ કરી શકે છે.
નેતન્યાહૂની આ યાત્રા ભારત-ઈઝરાયલની મિત્રતાની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે કેમ કે યુએનમાં ભારતે જેરુસલેમને પાટનગર જાહેર કરવાના વિરોધમાં વોટિંગ કર્યુ હતું. મોદી, નેતન્યાહૂ વચ્ચે સોમવારે હૈદરાબાદ હાઉસમાં બેઠક યોજાશે. તેમાં પેલેસ્ટાઈન, જેરુસલેમ, મિડલ ઈસ્ટ વિવાદ વગેરે મુદ્દે ચર્ચા થઇ શકે છે. નેતન્યાહૂ આગરા, અમદાવાદ અને મુંબઈની મુલાકાત પણ લેશે. તે પોતાની સાથે સૌથી મોટા ડેલિગેશન સાથે ભારત આવી રહ્યા છે. તેમાં 130 બિઝનેસમેન સામેલ છે. આ યાત્રાએ ભારત, ઈઝરાયલ વચ્ચે 445 કરોડ રૂ.ના જમીનથી હવામાં પ્રહાર કરતી 131 મિસાઈલો સહિત અન્ય કરાર થશે.