કાશ્મીરમાં ભાજપ-મહેબૂબા સરકાર 9730 પથ્થરબાજોને છોડી મૂકશે જ્યારે લશ્કરી જવાનો સામે FIR, જાણો વિગત
જમ્મુ: જમ્મુ-કાશ્મીરમાં ભાજપ અને પીડીપીની મહેબૂબા મુફતી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. ભાજપના ટેકાથી ચાલી રહેલી જમ્મુ-કાશ્મીર સરકારે 2008થી 2017 દરમિયાન સૈન્યના જવાનો પર પથ્થર ફેંકનારા 9730 લોકો વિરુદ્ધ દાખલ કરાયેલા કેસ પરત ખેંચવાની મંજૂરી આપી દીધી છે.
મહેબૂબાએ જણાવ્યું કે 2016 અને 2017માં પથ્થરબાજીના કેસોમાં 4,949 લોકોની ધરપકડ કરાઇ હતી. તેમનામાં 56 સરકારી કર્મચારી હતા જ્યારે 16 હુર્રિયત કોન્ફરન્સના કાર્યકર હતા. 4,074 લોકોનો કોઇ સંગઠન કે અાતંકી જૂથો સાથે કોઇ સંબંધ ન હતા.
મુફતી સરકાર દ્વારા પથ્થરબાજો વિરુદ્ધ કેસ પાછા ખેંચાઈ રહ્યા છે તેમાં પહેલીવાર ગુનો કરનારા લોકો પણ સામેલ છે. બીજી તરફ પથ્થરબાજોનો રોકવા ગોળીબાર કરનારા સૈનિકો સામે FIR દાખલ કરવાનો નિર્ણય લેવાયો છે. પથ્થરબાજોને રોકવા કરાયેલા ગોળીબારમાં ત્રણનાં મોત નિપજ્યાં હતાં.
ત્રણ પથ્થરબાજોના મોતના મુદ્દે જમ્મુ કાશ્મીર પોલીસે 10 ગઢવાલ રાઇફલના એક મેજર તથા કેટલાક સૈનિકોને આરોપી બનાવ્યા છે. જુલાઇ 2016માં આતંકી બુરહાન વાણીના મોત પછી ખીણમાં મોટા પાયે હિંસા ફાટી નીકળી હતી. આ હિંસક ઘટનાઓમાં 85 લોકો માર્યા ગયા હતા.
મોટા ભાગના પથ્થરબાજોને પાકિસ્તાન તથા આતંકીઓ તરફથી નાણાં મળે છે. પોલીસે આપેલી માહિતી પ્રમાણે જ, છેલ્લા બે વર્ષમાં જ પકડાયેલા પથ્થરબાજો પૈકી 4,000 લોકો એવા હતા કે જેમને લશ્કર પર પથ્થરો મારવા માટે નામા મળ્યાં છે. તેમને રૂપિયા આપીને પથ્થર ફેંકવા કહેવાય છે.
એક પ્રશ્નના લેખિત જવાબમાં મહેબૂબાએ જણાવ્યું કે 2016 અને 2017ના વર્ષમાં 3,773 કેસ નોંધાયા અને 11,290 લોકોની ધરપકડ કરાઇ. 1692 કેસોમાં ચાર્જશીટ દાખલ કરાઇ છે. જ્યારે 1841ની તપાસ ચાલી રહી છે. 233 કેસનો નિકાલ થયો નથી. જ્યારે 7 કેસમાં આરોપનામાં દાખલ જ થયાં નથી.