'પદ્માવત' નહીં રિલીઝ થવા દઇએ- કરણી સેનાના કાલવીની જાહેરાત
નવી દિલ્હીઃ સંજલ લીલા ભંસાળીની ફિલ્મ 'પદ્માવત' આજે સાંજે રિલીઝ થઇ રહી છે, આ ફિલ્મને લઇને વિવાદ થમવાનું નામ નથી લેતો. સુપ્રીમ કોર્ટે આ ફિલ્મને રિલીઝ કરવા લીલી ઝંડી આપી દીધી છે અને કાયદો અને વ્યવસ્થા જાળવવા રાજ્ય સરકારોને આદેશ આપ્યો છે. જોકે, આ બધાની વચ્ચે કરણી સેના પ્રમુખ લોકેન્દ્ર સિંહ કાલવીએ રિલીઝ મુદ્દે ખુલ્લો એટેક કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, 'પદ્માવત' ફિલ્મ પહેલા 1લી ડિસેમ્બર 2017ના દિવસે રિલીઝ થવાની હતી, પણ દેશભરમાં કેટલાક રાજ્યોમાં ફિલ્મનો જબરદસ્ત વિરોધ થયો, બાદમાં મેકર્સે આ ફિલ્મને રિલીઝને ટાળી દીધી હતી. હવે આ ફિલ્મ આવતીકાલે 25 જાન્યુઆરીએ રિલીઝ થશે. આમા મુખ્ય ભૂમિકામાં દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને શાહિદ કપૂર છે.
કાલવીએ ધરપકડની આશંકા જતાવી અને ભંસાળી પર આરોપ લગાવતા કહ્યું કે, ભંસાળીનો હેતુ લોકોમાં દર્દ પેદા કરવાનો છે. કરણી સેનાના લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે.
કરણી સેનાનું કહેવું છે કે, સુપ્રીમ કોર્ટનો આદેશ સરકારો માનશે, તેમનું સંગઠન નહીં. અમે દેશમાં 'પદ્માવત'ને રિલીઝ નહીં થવા દઇએ. કાલવીએ વધુમાં કહ્યું કે, કોણ શું કહી રહ્યું છે મને ખબર નથી. હું દરેક સંગઠનને કહું છું કે જનતા કરફ્યૂ લગાવે. યુપી, બિહાર, ગુજરાત જનતા કરફ્યૂ માટે આગળ આવ્યા છે. રાજસ્થાનમાં પણ ડિસ્ટ્રીબ્યૂટર્સે સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી છે, થિએટર્સ વાળાઓને કમાણી નહીં કરવા દઇએ.
નોંધનીય છે કે, 'પદ્માવત'ના વિરોધને લઇને અમદાવાદના કેટલાક મૉલમાં આગચંપીના બનાવો બન્યા હતા. ઉપરાંત રાજસ્થાનમાં ચિતોડગઢ કિલ્લાને પણ બંધ કરી દેવામાં આવ્યો અને સુરક્ષા બળોની તૈનાતીમાં વધારો કરી દેવામાં આવ્યો છે. બિહાર, એમપી, યુપીમાં પણ રાજપુત સમાજ સંગઠને તોડફોડ અને વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યુ હતું.