ગવર્નર વજુભાઈ વાળાએ PM નરેન્દ્ર મોદીને શું કરી વિનંતી? જાણો વિગતે

વજુભાઈ વાળાને કર્ણાટકમાં ભાષાની સમસ્યા નડી રહી છે તેથી તેમણે ટ્રાન્સફરની માંગણી કરી હોવાનું કહેવાય છે. વજુભાઈ વાળાએ કર્ણાટકમાં રાજભવનના સચિવાલયના અધિકારાઓને જણાવ્યું હતું કે 16 ડિસેમ્બર સુધીમાં તમામ પેન્ડિંગ ફાઈલોનો નિકાલ કરી દેવામાં આવે. તેના કારણે એવી વાતો થવા લાગી કે વજુભાઈ વાળાને મુખ્યમંત્રી બનાવીને ગાંધીનગરની ગાદી સોંપવામાં આવશે. જોકે આ નવા ઘટનાક્રમ પરથી લાગતુ નથી કે તેમને ગાંધીનગર બોલાવવામાં આવે.
જાહેર સમારોહમાં તેઓ હિન્દી બોલવાનું પસંદ કરે છે જેને કારણે કન્નડ તરફી સંગઠનોનો જોરદાર વિરોધ થતો હોય છે. કર્ણાટકમાં અગાઉ હિન્દી ભાષી રાજ્યોના રાજ્યપાલ હતા જેઓ કન્નડ ભાષા જાણતા ન હતા પરંતુ તેઓ અંગ્રેજીમાં ભાષણ કરવાનું પસંદ કરતાં પરંતુ વજુભાઈ વાળા અંગ્રેજી સારું નથી જાણતા તેથી હિન્દીમાં બોલવાનું પસંદ કરતા હોય છે.
વજુભાઈ વાળા મોદીની નજીક હોવાથી તેમની ટ્રાન્સફરની વિનંતી સ્વીકારી લેવામાં આવી છે. કેન્દ્રમાં ભાજપના એક નેતાએ જણાવ્યું હતું કે વજુભાઈ વાળાને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવે તેવી શક્યતા છે. કર્ણાટકમાં પ્રજાસત્તાક દિવસ હોય કે પછી રાજ્ય વિધાનસભાનું સંયુક્ત સત્ર હોય, વજુભાઈએ અંગ્રેજીને બદલે હિન્દીમાં પ્રવચન કર્યું હતું. જેને લઈને વિવાદો ઉભા થયા હતાં.
નવી દિલ્હી: ગુજરાતમાં ભાજપના વિજય બાદ એવી ચર્ચાઓ ચાલી રહી છે કે ભાજપ દ્વારા કર્ણાટકના ગવર્નર અને રાજ્યના ભૂતપૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાને મુખ્યમંત્રી બનાવીને ગાંધીનગરની ગાદી સોંપવામાં આવશે. જોકે આ અટકળો પર પૂર્ણવિરામ મૂકાય એવા સમાચાર એ છે કે, વજુભાઈ વાળાએ રાજ્યપાલ તરીકે પોતાનું રાજ્ય બદલવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી છે અને મોદીએ આ વિનંતી માન્ય રાખતાં વજુભાઈ વાળા મધ્યપ્રદેશ કે રાજસ્થાનના રાજ્યપાલ બનશે.
ભાજપના વર્તુળોના જણાવ્યા પ્રમાણે વજુભાઈએ કોઈ પણ હિન્દી ભાષી રાજ્યમાં રાજ્યપાલ બનાવવાની માંગણી કરી છે. તેઓ જ્યારથી કર્ણાટકના રાજ્યપાલ બન્યા છે ત્યારથી તેમને ત્યાં ભાષાની સમસ્યા નડી રહી છે અને સ્થાનિક મુદ્દાઓને સમજવામાં તેમને મુશ્કેલી પડી રહી છે. તેથી તેમણે હિન્દી ભાષી રાજ્યમાં પોતાની નિમણૂંક કરવા જણાવ્યું છે.
નરેન્દ્ર મોદીએ વજુભાઈ વાળાની મંજૂરી માન્ય રાખતાં કર્ણાટકમાં હવે ગમે ત્યારે રાજ્યપાલ બદલાશે. ભાજપના એક નેતાએ જણાવ્યું હતું કે વજુભાઈ વાળાએ ખુદ ટ્રાન્સફર માંગી છે અને પોતે ગુજરાતમાં મુખ્યમંત્રીપદ માટેની રેસમાં નથી તેવું જણાવ્યું છે.