નોટબંધી ભૂલ હતી તેમ મોદીએ સ્વીકારી લેવું જોઈએ, જાણો ક્યા દિગ્ગજ નેતાએ આપ્યું આ નિવેદન
મનમોહને કહ્યું કે, નોટબંધી અર્થતંત્રમાં પ્રવર્તમાન અસમાનતાને વધુ પહોળી બનાવે તેવી સંભાવના વધી ગઈ છે. ભારત જેવા વૈવિધ્યપૂર્ણ દેશમાં આ પ્રકારની આર્થિક અસમાનતા સામાજિક સંતુલન પણ ખોરવી નાંખી શકે છે. તેમણે નોટબંધીને ‘વિચારહીન’ અને ‘ઐતિહાસિક’ ભૂલ તરીકે ગણાવી હતી. પૂર્વ વડાપ્રધાને કેશલેસ અર્થતંત્રની સરાહના કરી હતી પણ સાથેસાથે તેમણે કહ્યું કે, આપણે આર્થિક પ્રાથમિકતાઓને પણ યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂકવાની જરૂર છે.
નોટબંધી અંગેની ટીકાને ચાલુ રાખતાં વિદ્વાન અર્થશાસ્ત્રી એવા મનમોહને કહ્યું કે, આ નિર્ણયની એક નહીં પણ એકથી વધુ અસરો સર્જાયેલી છે. તેમણે કહ્યું કે, સરકારના આ નિર્ણયથી દેશના આર્થિક રીતે નબળા વર્ગ પર સૌથી મોટી અસર થઈ છે અને કોઈ આર્થિક ઈન્ડિકેટર જોઈ શકે નહીં તેના કરતાં પણ તેની અસર ગંભીર છે.
મનમોહન સિંહે આગળ કહ્યું કે, નોટબંધીએ દેશની આર્થિક કમર ભાંગી નાંખી છે. તેનાથી અનેકવિધ આર્થિક, સામાજિક, પ્રતિષ્ઠાપૂર્ણ અને સંસ્થાકીય નુકસાન દેશને સહન કરવું પડ્યું છે. જીડીપી મંદ પડી રહ્યો છે તે તો આર્થિક નુકસાન દર્શાવતું એક સામાન્ય ઈન્ડિકેટર છે. પણ આ ઈન્ડિકેટરમાં જે જોઈ નથી શકાતું તેના કરતાં પણ વધારે નુકસાન દેશના આર્થિક નબળા વર્ગમાં અને ધંધા રોજગારને થયેલું છે.
વડાપ્રધાન ડો. મનમોહનસિંઘે તેમના અનુગામીને ‘આ ભયંકર ભૂલનો સ્વીકાર’ કરી લેવા માટે સલાહ આપી છે અને રાજકીય મતભેદથી ઉપર ઉઠીને દેશના અર્થતંત્રને સુધારવા માટે લાગી જવા અન્ય પક્ષોની મદદ માગવાનું પણ કહ્યું છે. ‘હું સ્પષ્ટપણે માનું છું કે નોટબંધીની ઘટના પર ચાલી રહેલું રાજકારણ બંધ કરવાનો સમય હવે થઈ ગયો છે. વડાપ્રધાન મોદીએ પોતાની એ બહુ મોટી ભયંકર ભૂલ હતી તેમ સ્વીકારવું જોઈએ અને દેશના અર્થતંત્રને સુધારવા માટે અન્ય લોકોની મદદ માગવી જોઈએ,’તેમ મનમોહને બ્લુમબર્ગક્વીન્ટને આપેલી એક મુલાકાતમાં કહ્યું છે.
નવી દિલ્હીઃ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે નોટબંધીને વિનાશકારી આર્થિક નીતિ ગણાવતા કહ્યું કે, જેટલું દેખાઈ રહ્યું છે તેનાથી પણ વધારે નુકસાન નોટબંધીથી દેશની આર્થિક વ્યવસ્થાને થઈ રહ્યું છે. 8 નવેમ્બરે નોટબંધીની જાહેરાતને એક વર્ષ પૂરું થવા પહેલા એક વેબસાઈટને આપેર ઇન્ટરવ્યૂમાં મનમોહન સિંહે નરેન્દ્ર મોદીની આર્થિક નીતિઓ પર નિશાન સાધ્યું હતું.