નિકાહ વખતે લખીને આપવું પડશે- ‘હું ત્રણ તલાક નહીં આપું’: મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડ

નવી દિલ્લી: મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડ એક મોડલ નિકાહનામું લાવી રહ્યું છે. જેમાં નિકાહ દરમિયાન એક સાથે ત્રણ તલાક ન આપવાની શરત રાખવામાં આવી છે. બોર્ડ પ્રવક્તાએ જણાવ્યું કે, આ મોડલ નિકાહનામામાં એક કોલમ વધારાની જોડવામાં આવશે. આ કોલમમાં હું ત્રણ તલાક નહીં આપુ એવું લખવું પડશે.
પર્સનલ લો બોર્ડ પ્રમાણે, એક વખત આ કોલમમાં ટિક કર્યા બાદ પુરુષ પોતાની પત્નીને એક સમયે ત્રણ તલાક નહીં આપી શકે. જો આવું કરે તો તલાક નહીં માનવામાં આવે.
બોર્ડના પ્રવક્તા મૌલાના ખલીલુર્રહમાન નોમાનીએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે, બોર્ડ એક મોડલ નિકાહનામું લાવી રહ્યું છે. આ મોડલ નિકાહનામામાં એક વધારાની કોલમ જોડવામાં આવશે. આ કોલમમાં લખવું પડશે કે, હું ત્રણ તલાક નહીં આપું. નિકાહ વખતે આ કોલમમાં ટિક કરવું પડશે અને નિકાહનામા પર દુલ્હાએ સહી કરી તેની ખાતરી આપવી પડશે.
ત્રણ તલાક વિરુદ્ધ પ્રસ્તાવિત કાયદો લોકસભામાં પાસ થયા બાદ મોદી સરકાર હવે રાજ્યસભામાં આ બિલને પાસ કરવાનો પ્રયત્ન કરી રહી છે. રાજ્યસભામાં બહુમત ન હોવા છતા સરકારનો પ્રયાસ રહેશે કે ઉચ્ચ સદનથી પણ મુસ્લિમ મહિલાઓ સાથે જોડાયેલ આ મહત્વનું બિલ પાસ થાય. ત્યાં આ કાયદાનો વિરોધ કરનારા ઓલ ઈન્ડિયા મુસ્લિમ પસર્નલ બોર્ડ નિકાહનામામાં ફેરફારની તૈયારી કરી રહ્યું છે. મુસ્લિમ પર્સનલ લો બોર્ડે ત્રણ તલાક રોકવા આ પગલું ઉઠાવ્યું છે. તેના હેઠળ એક મોડલ નિકાહનામું લાવવામાં આવી રહ્યું છે.