‘નીરવ મોદીને મારી સામે લાવો, હું ચપ્પલથી તેને ઝૂડી નાંખીશ’, જાણો કોણે આમ કહ્યું

ઈડી દ્વારા સીઝ કરવામાં આવેલી નીરવ મોદીની કાર.
ED દ્વારા નીરવ મોદી અને તેની કંપનીની 9 કાર સીઝ કરવામાં આવી હતી. જેમાં એક રોલ્સ રોયસ ઘોસ્ટ, બે મર્સિડીઝ બેન્ઝ જીએલ 350 સીડીઆઈએસ, એક પોર્શે પાનામેરા, હોન્ડા કંપનીની ત્રણ કાર, એક ટોયોટા ફોર્ચુનર અને એક ટોયોટા ઇનોવાનો સમાવેશ થાય છે.
નીરવ મોદીની કંપનીની સીનિયર એક્ઝિક્યુટિવ અર્જુન પાટિલની ધરપકડ કરવામાં આવી છે. તેનાથી રોષે ભરાયેલી પાટિલની પત્ની સુજાતાએ કહ્યું કે, મારા પતિ 10 વર્ષથી નીરવ મોદીની કંપનીમાં કામ કરી રહ્યા છે. કેટલાક લોકોની જેમ તેઓ પણ પેપર વર્ક કરતા હતા. તમે નીરવ મોદીને મારી સામે લાવો, હું તેને ચપ્પલથી મારીશ.
મુંબઈઃ પીએનબી કૌભાંડના માસ્ટર માઇન્ડ નીરવ મોદીની કંપનીના કર્મચારીઓ પર સીબાઆઈ, ઇડી સહિત અનેક તપાસ એજન્સીઓ ગાળિયો ભીંસી રહી છે. તપાસના રડારમાં કર્મચારીઓ આવ્યા બાદ હવે તેમના પરિવારજનો નીરવ મોદીને ભાંડી રહ્યા છે. તેમનું કહેવું છે કે નીરવ મોદીએ આ કૌભાંડને અંજામ આપ્યો છે. અમારા લોકો કંપનીમાં કર્મચારી તરીકે કામ કરતા હતા. આજે ઈડી દ્વારા નીરવ મોદી અને કંપનીની 9 કાર સીઝ કરવામાં આવી હતી.
સ્કૂલ ટીચર સુજાતાએ કહ્યું કે, પીએનબી કૌભાંડનો ખુલાસો થયો ત્યારે તેના પતિને આ અંગે પૂછયું હતું. ત્યારે તેણે કૌભાંડ સાથે તેનો કોઈ સંબંધ ન હોવાનું કહ્યું હતું. અર્જુને કહ્યું હતું કે, જે લોકોએ કૌભાંડ કર્યું છે તે દેશ છોડીને ભાગી ગયા છે. જો કૌભાંડમાં હું પણ સામેલ હોત તો નાસી ગયો હોત.
સીબીઆઈના કહેવા મુજબ નકલી LoU (લેટર્સ ઓફ અંડરટેકિંગ) માટે જે અરજી કરવામાં આવતી હતી તે અર્જુન પાટિલ તૈયાર કરતો હતો. આ માટે તેની ધરપકડ કરવામાં આવી છે. તેના 12 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.