બિહારના 13 જિલ્લાઓમાં પૂરથી ભારે તબાહી, મૃતકોની સંખ્યા વધીને 56 પહોંચી

પટના: બિહારના 38 જિલ્લામાંથી 13 જિલ્લા પૂરની ઝપેટમાં છે. પૂરના કારણે પૂર્ણિયા જિલ્લામાં સ્થિતિ ખૂબ જ ભયાનક છે. અહીં અનેક ગામોમાંથી પાણી નીકળી ગયું છે પરંતુ લોકોની મુશ્કેલીઓ વધી ગઇ છે. ત્યાં અનેક વિસ્તાર હજુ પણ જળમગ્ન છે. પરિસ્થિતિ હજું પણ એટલી ગંભીર છે કે, લોકો સરકારના મદદની રાહ જોઇ રહ્યા છે પરંતુ તંત્રનો કંઇજ પત્તો નથી. પૂરથી મરનાર સંખ્યા વધીને 56 સુધી પહોંચી છે.
રસ્તાઓ તૂટી જતા બન્ને બાજુએથી લોકો ફસાયા છે. કિશનગંજથી અરરિયા આવવા જવાનો હવે માત્ર હોડીનો સહારો લેવો પડે છે. હજુ પણ તંત્ર ત્યાં ફરકતું દેખાયુ નથી. અરરિયામાં પૂરના કારણે 20 લોકોના મૃત્યુ થયા છે. અહીં પણ ચાર દિવસથી મદદની રાહ જોઇ રહ્યા છે.
પૂરની ઝપેટમાં પૂર્ણિયા શહેરથી 30 કિલોમીટર અંતરે નેશનલ હાઇવે 32 પર બનેલ દીધી પુલ પણ તૂટી ગયો છે. બે દિવસથી આ પૂલ પર ટ્રાફિક બંધ છે. જેનાથી લોકોને ભારે મુશીબતનો સામનો કરવો પડી રહ્યો છે.
બિહામાં પૂરની સૌથી વધારે અસર પૂર્ણિયા જિલ્લામાં છે. કેટલાક વિસ્તારોમાં પૂરનુ પાણી ઉતરી ગયું છે. પરંતુ અહી કાંઇ બચ્યું નથી. ઘરમાં અનાજથી લઇને તમામ સામાન બર્બાદ થઇ ગયો છે.