શત્રુધ્ન સિંહાએ 2019 લોકસભા ચૂંટણી પહેલા ભાજપ છોડવાનો આપ્યો સંકેત, જાણો શું કહ્યું
તેમણે એમ પણ કહ્યું કે, મેં છોડવા માટે પાર્ટી નથી જોઈન કરી. પાર્ટીમાં અનેક લોકો સાથે સારુ વર્તન નથી થઈ રહ્યું. અમારા ગુરુ લાલકૃષ્ણ અડવાણીને જ જોઈ લો. એમના જ નેતૃત્વમાં પાર્ટી 2 બેઠકમાંથી 200 સીટ સુધી પહોંચી હતી. આજે તેઓ ક્યાં છે? તેઓ પાર્ટીને કોઈ અન્ય પદ પર હોવા જોઈતા હતા. પરંતુ આજે તેઓ પાર્ટીમાં અભિભાવકની જેમ છે.
નોંધનીય છે કે બુધવારે ભાજપથી નારાજ યશવંત સિંહા અને શત્રુધ્ન સિંહા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને મળ્યા હતા. બંનેએ આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ વિરુદ્ધ તમામ પાર્ટીઓને એક કરવાના મમતાના પ્રયાસની પ્રશંસા કરી હતી.
નવી દિલ્હીઃ ભાજપના વરિષ્ઠ નેતા અને બિહારના પટના સાહિબથી સાંસદ શત્રુધ્ન સિંહાએ આગામી વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણી પહેલા ભાજપ સાથે છેડો ફાડવાનો સંકેત આપ્યો છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી છે કે તેઓ પટના સાહિબની સીટ નહીં છોડે અને આ સીટ પરથી જ લોકસભા ચૂંટણી લડશે. તેઓ હાલમાં આ બેઠક પરથી ચૂંટાઈને સંસદ ગયા છે. તેમણે કહ્યું હતું કે મારી પાસે બીજા પક્ષની ઓફર છે. મારા માટે એ વાતનો કોઈ મતલબ નથી કે હું મારી પાર્ટી કે પછી કોઈ બીજા પક્ષમાંથી લોકોની સેવા કરું.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમની સાથે પક્ષમાં ખરાબ વ્યવહાર થયો છે ત્યારે તેમણે આ વાતનો ઉત્તર 'હા'માં આપ્યો હતો. જોકે, તેમણે એવું પણ કહ્યું હતું કે એ મારા લોકો છે એટલે હું બહારના લોકો સમક્ષ તેમની વિરુદ્ધ ન બોલી શકું. મારી પાર્ટી બહુ સારી રીતે જાણે છે કે તેનાથી મને દુઃખ થાય છે, આ આજકાલથી નથી ચાલી રહ્યું, જ્યારથી સરકાર બની છે ત્યારથી આ ચાલી રહ્યું છે.
સિંહાએ કહ્યું કે, ગત 2014ની લોકસભાની ચૂંટણી વખતે પણ એવી અફવા હતી કે બીજેપી મને ટિકિટ નહીં આપે. પરંતુ મને ટિકિટ મળી હતી. છેલ્લી ઘડીએ મારી નામની જાહેરાત કરવામાં આવી હતી. છેલ્લી ચૂંટણીમાં સારી એવી લીડ સાથે મેં ચૂંટણી જીતી હતી, આથી હવે કોઈ કારણ નથી કે મને ટિકિટ આપવામાં નહીં આવે.