શિવસેનાની મોટી જાહેરાતઃ લોકસભાની ચૂંટણી એકલે હાથે લડશે

મુંબઈઃ ભાજપના નેતૃત્વવાળી એનડીએ ગઠબંધનને મોટો ફટકો પડ્યો છે. ગઠબંધનના સૌથી જૂના સહયોગી પક્ષ શિવસેનાએ આજે જાહેરાત કરી કે 2019માં લોકસભા અને બાદમાં વિધાનસભાની ચૂંટણી તે એકલા હાથે લડશે. ભાજપ અને શિવસેનાની વચ્ચે બે દાયકાથી વધારે સમયથી મિત્રતા છે. શિવસેનાની આ જાહેરાત બાદ કહેવાય છે કે, 2019માં બન્ને પક્ષના રસ્તા અલગ થઈ જશે.
હાલમાં મહારાષ્ટ્ર સરકારમાં શિવસેના અને ભાજપની વચ્ચે તકરાર ચાલી રહી હતી. બન્ને પક્ષના નેતા એક બીજા પર નિવેદનબાજી કરી રહ્યા હતા. જોકે હાલમાં શિવસેના સરકાર સાથેનું ગઠબંધન જાળવી રાખશે.
શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. શિવસેના અને ભાજપમાં રાજ્ય અને કેન્દ્ર સ્તરે સંબંધોમાં ઘણાં લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો હતો. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ થોડા દિવસ પહેલા જ ધમકી આપી હતી કે જો જરૂર પડશે તો તેનો પક્ષ એનડીએમાંથી અલગ થઈ જશે. પક્ષ નેતા સંજય રાઉતે કહ્યું કે તેનો પક્ષ 2019ની લોકસભા અને પછીની વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડશે.
શિવસેનાના આ નિર્ણયને ઉદ્ધવ ઠાકરેના એ નિવેદન સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં સીટોની ફાળવણીને કારણે ભાજપ શિવસેના અલગ પડી ગઈ હતી. આ ચૂંટણીમાં ભાજપ સૌથી મોટો પક્ષ બનીને સામે આવ્યો હતો અને શિવસેનાએ ચૂંટણી બાદ ભાજપ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી.