નવી દિલ્લીના એમ્સના મેડિસિન વિભાગના ડૉ. નીરજ નિશ્ચલે  જણાવ્યું કે, ભલે ઓમિક્રોનના લક્ષણો ગંભીર ન હોય, પરંતુ તેને હળવાશથી ન લેવો જોઈએ. આ વેરિઅન્ટના કેસ ઝડપથી વધી રહ્યા છે. ભારત જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશમાં તેનો ફેલાવો  ખતરનાક બની શકે છે. તે એવા લોકોને સરળતાથી ઝપેટમાં લઇ શકે છે. જે પહેલાથી બીમારીથી પીડિત છે.  આવી સ્થિતિમાં જો એક ટકા લોકોને પણ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે તો  પણ મુશ્કેલી વધી શકે છે, એટલા માટે લોકોએ માત્ર પોતાના વિશે જ વિચારવાને બદલે અન્ય બાબતો તરફ ધ્યાન આપવું પડશે. એ સમજવું પડશે કે કોરોના એક મોટી મહામારી છે. જ્યારે તે હાજર હોય ત્યારે તેની સામે રક્ષણના નિયમોનું પણ પાલન કરવું પડે છે. બેદરકારી આપણને કોઈ મોટા જોખમ તરફ દોરી શકે છે.


 
વેક્સિનનો મહત્વનો રોલ 
ડૉ.નીરજ કહે છે કે, જ્યારે ડેલ્ટા વેરિઅન્ટ આવ્યો હતો. તે દરમિયાન મોટાભાગના લોકોને રસી આપવામાં આવી ન હતી. પરંતુ ઓમિક્રોન સમયે હવે મોટાભાગના લોકો વેક્સિનેટ છે. તેમ છતાં પણ  ઘણા દેશોમાં જ્યાં ઓમિક્રોનનું સંક્રમણ વધી રહ્યું છે ત્યાં કેસ  વધી રહ્યા છે. ત્યાં  મૃત્યુ પણ થઇ રહ્યાં છે. આ જ કારણ છે કે ઓમિક્રોનને હળવાશથી ન લેવો જોઇએ. 


વેક્સિન જરૂર લો
ડો. કહે છે કે,  જેમણે રસી લીધી નથી. તેઓ ઝડપથી  સંક્રમતિ થઇ  શકે છે. તેથી, શક્ય તેટલી વહેલી તકે વેક્સિન લેવી હિતાવહ છે.  રસી લેવાથી કોઈ નુકસાન નથી,  પરંતુ તે આપણા શરીરને ઇન્ફેકશનથી બચાવે ચોક્કસ છે. વેક્સિનેટ લોકો સંક્રમિત થાય તો પણ  હોસ્પિટલમાં દાખલ થવાની શક્યતા ઘણી ઓછી રહે છે. 


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


 દેશમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના  58,097 કેસ નોંધાયા હતા, જ્યારે તેની સામે 15,389 રિકવર થયા હતા. તો 534 લોકોના છેલ્લા 24 કલાકમાં મોત થયા હતા. દેશનો દૈનિક પોઝિટીવિટી રેટ 4.18% છે. દેશમાં એક્ટિવ કેસ 2,14,004  એ પહોંચી ગયા છે. જ્યારે ટોટલ  3,43,21,803 લોકોએ કોરોનાને મ્હાત આપી છે, જ્યારે કુલ  4,82,551 લોકોના કોરોનાથી મોત થયા છે. જ્યારે  અત્યાર સુધીમાં 147.72 કરોડ વેક્સિન આપવામાં આવી છે. 


દેશમાં ઓમિક્રોનના કુલ 2135 કેસ થયા છે. જ્યારે તેની સામે 828 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર અને દિલ્લીમાં સૌથી વધુ 653 અને 464 ઓમિક્રોનના કેસ નોંધાયા છે.